યુદ્ધની સ્થિતિમાં 650 ડોક્ટરોની ટીમ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ : તમામ તબીબી કર્મીની રજા રદ, તમામ દવાનો પૂરતો સ્ટોક
પહેલગામ હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર અન્વયે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા હાલમાં યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ હોવાનું હોસ્પિટલના અધિક્ષક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ દવા, ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રખાયો છે. સાથે જ તમામ તબીબી કર્મચારીઓની રજા રદ કરી હેડ ક્વાટર્સ ન છોડવા આદેશ કરી કટોકટીની સ્થિતિમાં ઘાયલો માટે 250 બેડ ઉપલબ્ધ હોવાનું જાહેર કરાયું છે.
ઓપરેશન સિંદૂર બાદ બોખલાયેલા પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારમાં હુમલા શરુ કરવામાં આવ્યા હોવાથી રાજ્ય સરકારે તમામ સરહદી જિલ્લા અને વ્યૂહાત્મક જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર અને મેડિકલ હબ ગણાતા રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ યુદ્ધની સ્થિતિમાં તબીબી મોરચે લડવા સજ્જ બની છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી ડો.મહેન્દ્ર ચાવડાના જણાવ્યા મુજબ હાલમાં રાજકોટ સિવિલમાં ઇમરજન્સીને લઈ 250 બેડની વ્યવસ્થા ગોઠવી 400 રેસિડેન્સ ડોક્ટર, 250 કન્સલ્ટિંગ તબીબ તેમજ 60 મેડિકલ ઓફિસરને રાઉન્ડ ધ ક્લોક હાજર રહેવા ફરમાન કરાયું છે.
વધુમાં ડો.મહેન્દ્ર ચાવડાએ ઉમેર્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફની રજા રદ્દ કરી દેવામાં આવી છે, હાલમાં સિવિલમાં તમામ દવા અને ઇન્જેક્શન તેમજ 1500થી 2000 બોટલ બ્લડ ઉપલબ્ધ રાખવામાં આવી છે. ખાસ કરીને યુદ્ધની સ્થિતિમાં ટ્રોમા અને બર્ન્સના કેસ વધુ આવતા હોય ઇજાગ્રસ્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ડ્રેસિંગ મટીરીયલ, ઓક્સિજન, સ્ટ્રેચર સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં 650થી વધુ તબીબોની ટિમ ઉપરાંત 800 જેટલો નર્સીંગ સ્ટાફ પણ ઉપલબ્ધ હોવાનું અને જરૂર જણાયે આઇએમએના તબીબોની ટિમ પણ તમામ ઇમરજન્સી માટે સજ્જ હોવાનું તમને જણાવ્યું હતું.
ઇમરજન્સીની સ્થિતિમાં ખાનગી હોસ્પિટલોમાં પણ ઘાયલોને મફત સારવાર
પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના આદેશને પગલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઇમરજન્સી માટે સજ્જ થઇ છે અને સિવિલમાં 250 બેડ સાથે તમામ સ્થિતિને પહોંચી વળવા તૈયારી છે ત્યારે જો દુશ્મન દેશના હુમલામાં વધુ નાગરિકો ઘાયલ થવાની નોબત આવે તો રાજકોટ આઇએમએ દ્વારા ખાનગી હોસ્પિટલમાં પણ ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવામાં આવનાર હોવાનું સિવિલ હોસ્પિટલના ડો.મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું. તેમને વધુમાં ઉમેર્યું હતું કે, ઇમરજન્સીની સ્થિતિમાં આઇએમએના તબીબો સિવિલમાં સેવા આપવાની સાથે ખાનગી હોસ્પિટલમાં પણ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ કરાવશે.