સૂર્યકુમાર યાદવનું કેપ્ટન પદેથી પત્તું કપાશે
આગલા બે ટી-૨૦ વર્લ્ડકપ સુધી ટીમનું નેતૃત્વ કરે તેવા કેપ્ટનની પસંદગી કરાશે
અગરકર શ્રેયસ તો ગંભીર સંજૂને કેપ્ટન બનાવવાની તરફેણમાં
ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં જ ટી-૨૦ ટીમનો નવો કેપ્ટન મળવાનો છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી થાય તે પહેલાં જ કેપ્ટનને લઈને વિચાર-વિમર્શ શરૂ થઈ ગયો છે. કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું પત્તું કપાવું નિશ્ચિત બની ગયું છે પરંતુ તેના ઉત્તરાધિકારી તરીકે કોણ તે મુદ્દો પણ પેચીદો બની ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર, તીલક વર્મા અને સંજૂ સેમસનનું નામ આગળ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: લાઈટિંગ બેન્ચીસ, રોડ ફરતે આધુનિક લાઈટ: રેસકોર્સ રિંગરોડનો આવશે `જમાનો’
હેડ કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરના નેતૃત્વવાળી પસંદગી સમિતિ સૂર્યકુમાર યાદવને કેપ્ટનપદેથી હટાવવા એકમત થઈ ગઈ છે. સૂર્યકુમાર આઉટ ઓફ ફોર્મ છે અને આઈપીએલમાં પણ તેનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણેનું રહ્યું ન્હોતું. પસંદગી કમિટીનું માનવું છે કે હવે એવા કેપ્ટનની જરૂર છે જે આગલા બે ટી-૨૦ વર્લ્ડકપ સુધી ટીમનું નેતૃત્વ કરી શકે. આ મુદ્દે શ્રેયસ અય્યર સૌથી મજબૂત દાવેદાર છે અને આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસે તેને ટીમની કમાન સોંપાઈ શકે છે.
જો કે શ્રેયસ અય્યરના નામ સાથે ગૌતમ ગંભીર સહમત નથી અને તેની પસંદ સંજૂ સેમસન છે. ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૬ના નોકઆઉટ મુકાબલાઓમાં સંજૂએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગંભીર તેના નેતૃત્વ તેમજ બેટિંગ ક્ષમતાથી પ્રભાવિત છે. આ યાદીમાં ઈશાન કિશનનું નામ પણ સામે આવ્યું છે. જો કે મુખ્ય મુકાબલો શ્રેયસ અને સંજૂ સેમસન વચ્ચે જ છે.
