દુશ્મનો ચેતજો, ભારતના 12 પરમાણુ શસ્ત્રો હવે ‘ત્રાટકવા માટે તૈયાર’ મોડમાં
અત્યાર સુધી પરમાણુ શસ્ત્રો માત્ર અલગ સ્થળે સંગ્રહાયેલા જ રહેતા, હવે રેડી ટુ યુઝ સ્થિતિમાં
ભારતે પોતાની પરમાણુ શસ્ત્ર નીતિમાં ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો ફેરફાર કર્યો હોવાનું વિશ્વની અગ્રણી શસ્ત્ર-નિરીક્ષણ સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. અહેવાલ મુજબ ભારતે પ્રથમ વખત 12 પરમાણુ વોરહેડ્સને “ઓપરેશનલી ડિપ્લોય્ડ” એટલે કે તાત્કાલિક ઉપયોગ માટે તૈયાર સ્થિતિમાં મૂક્યા છે.
અત્યાર સુધી ભારતની નીતિ મુજબ પરમાણુ વોરહેડ્સ અને તેમને છોડવા માટેની મિસાઇલ પ્રણાલીઓ અલગ-અલગ સ્થળોએ સંગ્રહિત રાખવામાં આવતી હતી. આ વ્યવસ્થા ભારતના જવાબદાર અને સંયમિત પરમાણુ અભિગમનું પ્રતીક માનવામાં આવતી હતી. જોકે SIPRIના અહેવાલ અનુસાર હવે ભારતે પોતાની કેટલીક પરમાણુ ક્ષમતાને વધુ ઝડપી પ્રતિસાદ આપી શકે તેવી સ્થિતિમાં ગોઠવવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો નેતન્યાહૂને આકરો ઠપકો એ તો પ્રેમીઓનો ઝઘડો: ઈઝરાયેલી રાજદૂત
અહેવાલમાં જણાવાયું છે કે ભારતના આ 12 પરમાણુ વોરહેડ્સ હવે ભૂગર્ભ મિસાઇલ સાઇલોઝ તથા નવી પેઢીની પરમાણુ સબમરીનો સાથે જોડાયેલી કામગીરી માટે તૈયાર સ્થિતિમાં રાખવામાં આવ્યા છે. SIPRIના મૂલ્યાંકન મુજબ ભારતના પરમાણુ ભંડારને પ્રથમ વખત માત્ર સંગ્રહિત નહીં પરંતુ “તૈનાત” શ્રેણીમાં ગણવામાં આવ્યું છે.
વૈશ્વિક સુરક્ષા સમીકરણોને ધ્યાનમાં લઈ નીતિ પરિવર્તન
SIPRIએ નોંધ્યું છે કે લાંબા સમયથી એવી માન્યતા હતી કે ભારત શાંતિના સમયમાં પોતાના પરમાણુ વોરહેડ્સને લોન્ચરોથી અલગ રાખે છે. પરંતુ તાજેતરમાં મિસાઇલોને કેનિસ્ટર આધારિત પ્રણાલીમાં મૂકવાની પ્રક્રિયા અને સમુદ્રમાં પરમાણુ પ્રતિરોધક પેટ્રોલિંગ વધારવાના પગલાં દર્શાવે છે કે ભારત હવે કેટલાક વોરહેડ્સને લોન્ચર સાથે જોડીને રાખવાની દિશામાં આગળ વધી રહ્યું હોઈ શકે છે.
વૈશ્વિક સુરક્ષા પરિસ્થિતિમાં વધી રહેલા પડકારો અને પડોશી દેશોની પરમાણુ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને ભારતની આ નવી તૈનાતી તેની પ્રતિરોધક શક્તિને વધુ વિશ્વસનીય અને ઝડપી બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
