ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
કહ્યું હતું,” મંત્રાલય બદલ્યે ન ચાલે, રાજીનામુ જ જોઈએ”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન ચલાવતા વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને તેમની માંગણીઓને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. વિદ્યાર્થીઓની હાજરીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી અત્યંત સૂચક નિવેદન આપતા જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર અન્ય મંત્રાલયમાં ખસેડવાથી કામ નહીં ચાલે, તેમને સરકારમાંથી જ બહાર કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગણી છે અને તેમાં સમજૂતીનો કોઈ અવકાશ નથી.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સરકારની અંદર ધર્મેન્દ્ર પ્રધાનનું મંત્રાલય બદલવાની ચર્ચા ચાલી રહી હોવાનું જાણવા મળે છે, પરંતુ વિદ્યાર્થીઓને તે હરગીઝ સ્વીકાર્ય નથી. પ્રધાનને રાજીનામું આપવું જ પડશે. તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વ્યવસ્થામાં “ભ્રષ્ટાચાર અને વિનાશનું પ્રતીક” ગણાવતાં કહ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય ત્યારે જ મળશે જ્યારે તેમને પદ પરથી હટાવવામા આવશે.યોગાનુયોગ તેમના એ નિવેદનની થોડી કલાકો પછી જ ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું જાહેર થયું હતું.
મોદીના વીડિયો પર કટાક્ષ
વડાપ્રધાન મોદીના તાજેતરના મોડી રાત્રે પ્રસારીત થતા વીડિયો સંદેશાઓ પર કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન આજે વીડિયો બનાવવામાં વ્યસ્ત છે અને સૂચનો માટે આભાર વ્યક્ત કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને આશ્વાસન નહીં, કાર્યવાહી જોઈએ છે. જો સરકાર ખરેખર ગંભીર હોય તો ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક હટાવવા જોઈએ.
વિદ્યાર્થીઓની માંગણીઓને રાહુલનો ખુલ્લો ટેકો
રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ પોતાની તરફથી કોઈ નવી માંગણી કરી રહ્યા નથી, પરંતુ વિદ્યાર્થીઓ જે મુદ્દાઓ પર અડગ છે તેનો જ અવાજ ઉઠાવી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ માટે જવાબદારો સામે કાર્યવાહી અને વડાપ્રધાન દ્વારા જાહેર માફી – આ ત્રણેય માંગણીઓ બિનસમજૂતીયોગ્ય છે. દરમિયાન, ૨૩ દિવસના ઉપવાસમાં સામેલ રહેલી વિદ્યાર્થી નેતા નેહા બોરાએ જણાવ્યું કે રાહુલ ગાંધી સાથે દેશની શિક્ષણ વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર તમામ વિદ્યાર્થી સંગઠનો એકમત છે.
