લખનૌ-કાનપુર એક્સપ્રેસ-વેમાં માત્ર 12 જ દિવસમાં મોટી તિરાડો
4200 કરોડનો જંગી ખર્ચ થયો છે: યોગી, રાજનાથ,ગડકરીએ હોંશે હોંશે લોકાર્પણ કર્યું હતું
ઉત્તર પ્રદેશમાં રૂ. 4,200 કરોડના ખર્ચે નિર્માણ પામેલા લખનૌ-કાનપુર ગ્રીનફિલ્ડ નેશનલ એલિવેટેડ એક્સપ્રેસ-વેના ઉદ્ઘાટનના માત્ર 12 દિવસમાં જ માર્ગના એક ભાગમાં તિરાડો પડતાં બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. 13 જુલાઈએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય માર્ગ પરિવહનમંત્રી નિતિન ગડકરીના હસ્તે આ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: E20 મુદ્દે બદનક્ષીભરી પોસ્ટ્સ સામે નીતિન ગડકરી પહોંચ્યા હાઇકોર્ટમાં
25 જુલાઈએ ઉન્નાવ જિલ્લાના કોરારી ગામ નજીક ભારે વરસાદ બાદ અંદાજે પાંચથી સાત મીટર જેટલો માર્ગ ધસી પડ્યો અને તેમાં તિરાડો દેખાઈ આવી હતી. સમાજવાદી પાર્ટીના નેતા મધુસૂદન યાદવે ઘટનાસ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને માર્ગની હાલત સામે લાવી હતી. તેમણે દાવો કર્યો કે વરસાદ બાદ એક્સપ્રેસ-વેમાં પડેલી તિરાડો ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે અને સમગ્ર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને અસરગ્રસ્ત ભાગમાં તાત્કાલિક સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ ઘટના અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં જ માર્ગને નુકસાન પહોંચતાં પ્રોજેક્ટની ગુણવત્તા અને દેખરેખની પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.
