નાકના ટીપા આંખમાં નાખ્યાંનો આક્ષેપ
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં શરદી અને આંખ લાલ થવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં લઈ જવાયેલા દોઢ વર્ષના બાળકને સારવાર દરમિયાન ખોટાં ટીપાં નાખવામાં આવતાં બાળકે બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હોવાનો પરિવારે આક્ષેપ કરતાં ચકચાર જાગી છે. સમગ્ર ઘટનાની તપાસના આદેશ અપાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સાગર જિલ્લાના બાંદા સિવિલ હોસ્પિટલમાં 29 મેના રોજ ઇન્દ્રજ વિશ્વકર્મા પોતાના 19 મહિનાના પુત્ર વિનયને સારવાર માટે લઈ ગયા હતા. બાળકને શરદી અને આંખોમાં લાલાશ હતી. ઓપીડીમાં તપાસ બાદ ફરજ પરના ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે ડૉક્ટરે ભૂલથી નાકમાં નાખવાના સેલાઇન ડ્રોપ્સ બાળકની આંખોમાં નાખી દીધા હતા. ઉપરાંત પેરાસિટામોલ સિરપ, ઇન્જેક્શન અને અન્ય દવાઓ પણ આપી હતી.
આ પણ વાંચો: રાજકોટની મહિલા એથ્લેટ દેવયાનીબા ઝાલા જાપાનમાં એશિયન ગેઈમ્સ માટે ક્વોલીફાય
સારવાર બાદ થોડા જ કલાકોમાં બાળકની સ્થિતિ વધુ બગડતાં તેને પહેલા સાગર જિલ્લા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભોપાલની AIIMSમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારનો દાવો છે કે ત્યાંના નિષ્ણાત તબીબોએ બાળકની બંને આંખોની દૃષ્ટિ કાયમ માટે જતી રહી હોવાનું જણાવ્યું અને ખોટી સારવાર અથવા તબીબી બેદરકારી તેની પાછળનું કારણ હોઈ શકે તેમ કહ્યું.ઘટના બાદ બાળકના પિતાએ બાંદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ડૉક્ટર અને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
