સેલેબ્રિટી-ઈન્ફ્લુએન્સર્સને FSSAIની કડક ચેતવણી, ખોટા દાવા કરવા પર કાનૂની કાર્યવાહી
સોશિયલ મીડિયાના યુગમાં ફેમસ થવાની ઘેલછા અને બ્રાન્ડ્સના ચમકદાર પ્રલોભનો પાછળ અંધ બનીને સેલેબ્રિટીઝ અને ઇન્ફ્લુએન્સર્સ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરી રહ્યા હતા. “ચમત્કારિક રીતે રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધારતા” હેલ્થ ડ્રિંક્સ અને પ્રોડક્ટ્સના નામે સામાન્ય લોકોની મહેનતની કમાણી લૂંટાતી રહી અને નિયમનકારી તંત્ર લાંબા સમય સુધી ઊંઘતું રહ્યું. જોકે, જનતામાં ફેલાયેલા રોષ અને વધતી ફરિયાદો બાદ હવે આખરે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) સફાળી જાગી છે અને ભ્રામક દાવા કરનારાઓ સામે લાલ આંખ કરી છે.
FSSAI ની કડક ચેતવણી અને મુખ્ય બાબતો
ગુણવત્તા વિના પ્રચાર પર પ્રતિબંધ: FSSAIએ સ્પષ્ટ કરી દીધું છે કે કોઈપણ ખાવા-પીવાની ચીજવસ્તુની ગુણવત્તા અને વૈજ્ઞાનિક સત્યતા ચકાસ્યા વિના તેનું સમર્થન કરનાર સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ગ્રાહકોના વિશ્વાસ સાથે રમત નહીં: સેલેબ્રિટીઝના પ્રચાર પર સામાન્ય લોકો આંખ બંધ કરીને ભરોસો મૂકતા હોય છે, તેથી સાચી માહિતી આપવી એ માત્ર કાનૂની નહીં પરંતુ નૈતિક જવાબદારી પણ છે.
અતિશયોક્તિભર્યા દાવાઓ પર રોક: પૂરતા વૈજ્ઞાનિક પુરાવા અને ખાદ્ય કાયદાની મંજૂરી વગર ‘ઇમ્યુનિટી બૂસ્ટર’ કે પોષક તત્વોના મોટા-મોટા દાવા કરનાર કંપનીઓ અને પ્રચારકો હવે કાયદાના શિકંજામાં આવશે.
કયા કાયદા હેઠળ થશે કાર્યવાહી?
FSSAIએ ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને ભ્રામક પ્રચાર કરનારાઓ સામે નીચે મુજબના કડક કાયદાકીય શસ્ત્રો ઉગામ્યા છે:
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 (Food Safety Act, 2006)
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (એડવર્ટાઈઝિંગ એન્ડ ક્લેમ્સ) રેગ્યુલેશન્સ, 2018
આ કાયદાઓ હેઠળ અસુરક્ષિત ખાદ્યચીજો વેચતા ઉત્પાદકો અને ખોટા દાવા કરનાર પ્રચારકો પર ભારે દંડ તેમજ કાનૂની પગલાં લેવાની જોગવાઈ છે.
નાગરિકો માટે FSSAI ની ખાસ અપીલ
તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ જાગૃત રહેવાની અપીલ કરવામાં આવી છે. જો સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી કોઈ ખોટી કે ભ્રામક જાહેરાત ધ્યાને આવે, તો નાગરિકો FSSAI ના સત્તાવાર ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ (Food Safety Connect) પ્લેટફોર્મ પર તેની તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે.
