`રામાયણ’ ભારતીય સિનેમામાં નવો ઇતિહાસ રચશે: કાજલ
૪,૦૦૦ કરોડના બજેટની ફિલ્મમાં રણબીર બનશે શ્રીરામ અને યશ નિભાવશે રાવણની ભૂમિકા: કાજલ અગ્રવાલ જોવા મળશે મંદોદરીની ભૂમિકામાં નિર્દેશક નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ રામાયણને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં મંદોદરીની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી કાજલ અગ્રવાલે જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ભારતીય સિનેમામાં અત્યાર સુધી ક્યારેય ન જોવાયેલો અનુભવ સાબિત થશે.
આ પણ વાંચો: કોઈના જવાબો, કોઈના માર્ક્સ અને ભોગ બનતા લાખો વિદ્યાર્થીઓ!
એક ઇન્ટરવ્યૂમાં કાજલે જણાવ્યું હતું કે રામાયણ માત્ર ફિલ્મ નહીં પરંતુ ટેક્નોલોજી અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના ક્ષેત્રમાં એક ભવ્ય પ્રયાસ છે. તેમના મતે આ પ્રકારનું કામ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અગાઉ ક્યારેય થયું નથી અને સમગ્ર ટીમ આ પ્રોજેક્ટને લઈને અત્યંત ઉત્સાહિત છે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત સની દેઓલ હનુમાનજી, રવિ દુબે લક્ષ્મણ અને અરુણ ગોવિલ દશરથનું પાત્ર ભજવશે.
બે ભાગમાં બનનારી આ ફિલ્મનો અંદાજિત કુલ ખર્ચ ૪,૦૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પ્રથમ ભાગ દિવાળી-૨૦૨૬માં અને બીજો ભાગ દિવાળી-૨૦૨૭માં રિલીઝ થશે. ફિલ્મમાં રાવણના ઉદય અને લંકાના સત્તાસંગ્રામને પણ મહત્વપૂર્ણ રીતે દર્શાવવામાં આવશે.
