નીટ તપાસના છેડા ક્યાં સુધી ગયા ? જુઓ
નીટ પેપર લીક કાંડમાં રોજ નવા ધડાકા થઈ રહ્યા છે અને રોજ નવા નામ સામે આવી રહ્યા છે ત્યારે હવે શિક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારીઓ પર પણ શંકા ઉઠાવાઈ રહી છે. એ જ રીતે એનટીએના અધિકારીઓ પર પણ તપાસનીશોની નજર હોવાનું બહાર આવ્યું છે.
બીજી બાજુ હવે મહારાષ્ટ્રમાં પોલીસે પેપર લીક કેસમાં બે શિક્ષકોની પૂછપરછ થઈ છે. સંજય તુકારામ જાધવ અને જલીલ ઉમરખાન પઠાણની નીટ પેપર લીક કેસમાં તેમની સંડોવણીની શંકાના આધારે નાંદેડ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમણે જિલ્લા પરિષદની શાળાઓમાં ભણાવ્યું અને લાતુરમાં એક ખાનગી કોચિંગ સેન્ટર પણ ચલાવ્યું. સૂત્રોએ જણાવ્યું હતું કે ઘણા કલાકોની પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યા હતા અને જરૂર પડ્યે તેને ફરીથી બોલાવવામાં આવશે.
દરમિયાનમાં નીટ કાંડ અંગેની તપાસ હવે ખુદ શિક્ષણ મંત્રાલય સુધી પહોંચી હોવાનું હિન્દી સમાચાર પ્રકાશનના એક અહેવાલમાં જણાવાયું હતું. મંત્રાલયના કેટલાક અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે તેવી સંભાવના અહેવાલમાં વ્યક્ત કરાઇ હતી. એ જ રીતે એનટીએ સુધી પણ તપાસ થઈ શકે છે અને તેના પણ કેટલાક અધિકારીઓની તપાસ થઈ શકે છે.
દેશમાં ભારે ચર્ચા
પરીક્ષાઓએ ભારતીય શૈક્ષણિક અને રાજકીય જગતને હચમચાવી નાખ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરના અધિકારીઓ દ્વારા પેપર લીકની તપાસ કરવામાં આવી રહી છે. નીટ પેપર લીકની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી. સરકારે વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો છે. સરકાર યુજીસી નેટ અનિયમિતતાઓની પણ તપાસ કરી રહી છે, જેમાં પેપરો લીક થવા અને ડાર્ક નેટ પર વેચવામાં આવે છે.
બિહારમાં 23 લોકોની ધરપકડ
અગાઉ, બિહાર પોલીસે 23 લોકોની ધરપકડ કરી હતી, જેમણે નીટ યુજી પરીક્ષાની આગલી રાત્રે પ્રશ્નપત્ર લીક કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ હવે ‘સોલ્વર ગેંગ’ની ભૂમિકાની તપાસ કરી રહી છે, જે વિદ્યાર્થીઓને લીક થયેલા પરીક્ષાના પેપર વેચે છે અને ઉમેદવારોને પરીક્ષા આપવા માટે પ્રોક્સી ઉમેદવારો પૂરા પાડે છે.