પાકિસ્તાન દ્વારા સતત આઠમી રાત્રે ગોળીબાર: ભારતનો વળતો જવાબ
પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલા, પુંછ, નૌશેરા અને અખનૂર વિસ્તારોમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર સતત આઠમી રાત્રે ગોળીબાર સાથે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું હતું ભારતીય સૈન્યએ પણપ્રમાણસર વળતો જવાબ આપ્યો હતો.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, બે દિવસ પહેલાં ભારતે પાકિસ્તાનને આ સતત થતાં ઉલ્લંઘનો અંગે સખત ચેતવણી આપી હતી. બંને દેશોના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) એ મંગળવારે એ મુદે પાકિસ્તાન હોટલાઇન પર વાતચીત પણ કરી હતી.
પાકિસ્તાની સેનાએ શરૂઆતમાં ઉત્તર કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાઓમાં LoC પરના અનેક પોસ્ટ્સ પર નાના હથિયારોના ગોળીબાર કર્યો હતો અને હવે છેક પુંછ સેક્ટરથી અને જમ્મુ પ્રદેશના અખનૂર સેક્ટર સુધી પાકિસ્તાન યુદ્ધ વિરામ ભંગ કરી રહ્યું છે.
બીજી તરફ એલઓસી અને આંતરાષ્ટ્રીય સરહદ પર વધતા જતા તણાવ અને પાકિસ્તાન દ્વારા થઈ રહેલા યુદ્ધ વિરામ ભંગ બાદ એ વિસ્તારના ગામડાઓમાં લોકો પોતાના ઘરના બંકરો તૈયાર કરવા લાગ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
સરહદ નજીક પકિસ્તાન ટેન્કો દ્વારા લાઇવ ડ્રિલ
પાકિસ્તાન દ્વારા સરહદ નજીક કિયાની અને મંડળ સેક્ટરમાં ટેન્કો , તોપો અને ભારે શસ્ત્રો દ્વારા ફાયરિંગની લાઇવ ડ્રિલ કરવામાં આવી હતી.સામાન્ય રીતે યુદ્ધ પૂર્વે આવું શક્તિ પરીક્ષણ કરવામાં આવતું હોય છે.આ અભ્યાસનો હેતુ કોઈ પણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટેનો હોવાનું પાકિસ્તાનના પ્રસાર માધ્યમોએ જણાવ્યું હતું.