‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ નો વૈશ્વિક કાયદો ભારતમાં ક્યારે આવશે?
નોકરી સ્વીકારી એટલે ચોવીસ કલાકના કોઈ એક સંસ્થા કે કંપનીના નોકર બની જવું. ભારતનું વર્ક કલચર અત્યારે ગુલામીપ્રથા જેવું બની ગયું છે. કામના કલાકો સિવાય બોસને પણ જવાબ ન આપવાનો અધિકાર જે દિવસે ભારતના કર્મચારીઓને મળશે તે દિવસથી ભારતને સુપરપાવર બનતા કોઈ રોકી શકશે નહીં!
રાત્રે ૮ વાગ્યે તમે પરિવાર સાથે જમવા બેઠા હો અને અચાનક ફોનની સ્ક્રીન પર બોસનું નામ ઝબકે કે વ્હોટ્સએપ ગ્રુપમાં ઓફિસનો મેસેજ આવે, ત્યારે મોંમાં રહેલો કોળિયો કેવો કડવો થઈ જાય છે, તેનો અનુભવ આપણા સૌને છે. આધુનિક ટેકનોલોજીએ આપણું કામ ભલે સરળ કર્યું હોય, પણ તેણે આપણને ૨૪ કલાકના અદ્રશ્ય ગુલામ બનાવી દીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને યુરોપના દેશો પોતાના નાગરિકોની માનસિક શાંતિ બચાવવા માટે ઓફિસ સમય પછી બોસનો ફોન ન ઉપાડવાનો સત્તાવાર કાયદો (Right to Disconnect) બનાવી રહ્યા છે, ત્યારે ભારતમાં યુવાનોને ‘અઠવાડિયાના ૭૦ કલાક’ કામ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોર્પોરેટ જગતની આ આધુનિક ગુલામી અને સામાજિક વ્યવસ્થામાં નોકરિયાતોની મનોસ્થિતિનો ઊંડો અભ્યાસ કરવો એ સમાજની અને સરકારની ફરજ છે.
એક સમય હતો જ્યારે માણસ સાંજે ઓફિસનું બારણું બંધ કરીને બહાર નીકળતો, એટલે તેનું અંગત જીવન શરૂ થતું. ઓફિસની ફાઈલો ઓફિસના ટેબલ પર જ રહેતી. પરંતુ સ્માર્ટફોન અને લેપટોપના આગમને આ સીમારેખા કાયમ માટે ભૂંસી નાખી છે. આજે ઓફિસ કોઈ ઇમારત નથી રહી, તે તમારા ખિસ્સામાં અને તમારા બેડરૂમ સુધી ઘૂસી ગઈ છે.
આ વૈશ્વિક મહામારીને રોકવા માટે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ એક ઐતિહાસિક કાયદો લાગુ કર્યો છે—’રાઈટ ટુ ડિસ્કોનેક્ટ’ (Right to Disconnect). આ કાયદો કર્મચારીને સીધો અધિકાર આપે છે કે ઓફિસના કલાકો પૂરા થયા પછી તે બોસના કોઈપણ ફોન, ઈમેલ કે મેસેજને ઇગ્નોર કરી શકે છે અને આ માટે કંપની તેની સામે કોઈ જ શિક્ષાત્મક પગલાં લઈ શકશે નહીં. જો કંપની વારંવાર કર્મચારીને ઓફિસ સમય પછી હેરાન કરે, તો બોસને અને કંપનીને લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે! એક સ્વસ્થ અને માનવકેન્દ્રી (Human-centric) લોકશાહી પોતાના નાગરિકોના શ્વાસ અને સમયની કેવી કદર કરે છે, તેનું આ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભારતમાં ‘હસલ કલ્ચર’ (Hustle Culture) નું ઝેરી ગ્લેમરાઈઝેશન
ઓસ્ટ્રેલિયા અને યુરોપની સામે ભારતની સરખામણી કરીએ તો ચિત્ર અત્યંત બિહામણું લાગે છે. આપણા દેશમાં ઓવરટાઈમને એક ‘ગૌરવ’ નો વિષય બનાવી દેવામાં આવ્યો છે.
મોટા નારાયણ મૂર્તિ જેવા કોર્પોરેટ દિગ્ગજો ખુલ્લેઆમ સલાહ આપે છે કે દેશના યુવાનોએ અઠવાડિયાના ૭૦ કલાક કામ કરવું જોઈએ. આ ‘હસલ કલ્ચર’ ના નામે આખી પેઢીના મગજમાં એવું ઝેર ઘોળવામાં આવ્યું છે કે જો તમે રાત્રે ૧૦ વાગ્યે લેપટોપ ખોલીને કામ નથી કરતા, તો તમે આળસુ છો કે તમારામાં પ્રગતિ કરવાની ભૂખ નથી. ભારતમાં રજાના દિવસે પણ બોસનો ફોન ઉપાડવો એ ‘વફાદારી’ ની નિશાની માનવામાં આવે છે. પણ વાસ્તવિકતા એ છે કે આ કોઈ વફાદારી નથી, આ બિનઆવડત અને ખરાબ મેનેજમેન્ટનું પરિણામ છે. આ ગુલામી પણ છે. જો કોઈ કંપનીનું કામ ૮ થી ૯ કલાકમાં પૂરું ન થઈ શકતું હોય, તો વાંક કર્મચારીની સ્પીડનો નહીં, મેનેજમેન્ટની ખરાબ નીતિઓનો અને અપૂરતા સ્ટાફનો છે.
મનોવિજ્ઞાન અને ‘ટોક્સિક પ્રોડક્ટિવિટી’ નો ભ્રમ
કોર્પોરેટ જગતની સૌથી મોટી ગેરસમજ એ છે કે “માણસ જેટલા વધુ કલાક કામ કરશે, તેટલું ઉત્પાદન વધશે.” આર્થિક અને વૈજ્ઞાનિક ડેટા આ દલીલના લીરેલીરા ઉડાડી દે છે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) ના આંકડા મુજબ, ભારત દુનિયાના એવા દેશોમાં આવે છે જ્યાં કર્મચારીઓ સૌથી વધુ કલાકો કામ કરે છે, છતાં આપણી માથાદીઠ પ્રોડક્ટિવિટી યુરોપિયન દેશો કરતાં ઘણી ઓછી છે! જર્મની, ફ્રાન્સ કે સ્કેન્ડિનેવિયન દેશોમાં અઠવાડિયાના માંડ ૩૫ થી ૪૦ કલાક કામ થાય છે, છતાં તેઓ દુનિયાના સૌથી મજબૂત અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે. કારણ સ્પષ્ટ છે: થાકેલું, તણાવગ્રસ્ત અને બર્નઆઉટનો શિકાર બનેલું મગજ ક્યારેય કોઈ નવું સર્જન કે ઇનોવેશન ન કરી શકે. સતત કામના દબાણને કારણે હાર્ટ એટેક, ડિપ્રેશન અને પારિવારિક છૂટાછેડાના કેસો ભારતમાં આસમાને પહોંચી રહ્યા છે. માણસની ઊંઘ અને સંબંધોની બલિ ચડાવીને કંપનીના સરવૈયા ક્યારેય લાંબો સમય નફામાં ન રહી શકે.
મર્યાદા વિનાનો દેશ
આપણે ત્યાં એક મોટો સામાજિક પ્રોબ્લેમ પણ છે—આપણે ક્યારેય ‘ના’ પાડતા શીખ્યા જ નથી. બોસની નારાજગીના ડરથી કે નોકરી જવાની અસુરક્ષાને કારણે કર્મચારી ક્યારેય પોતાની અંગત સીમારેખા દોરી શકતો નથી.
રાઈટ ટુ ડિસ્કોનેક્ટ માત્ર કોઈ કાયદાની જરૂરિયાત નથી, તે એક સામાજિક ક્રાંતિ છે. તે શિખવાડે છે કે તમારો સમય એ તમારી મૂડી છે, કંપનીએ તમારા આખા અસ્તિત્વને નથી ખરીદી લીધું, તેણે માત્ર તમારા દિવસના ૮ કલાક ખરીદ્યા છે. બાકીના સમય પર તમારા પરિવારનો, તમારા શોખનો અને તમારી ઊંઘનો સાર્વભૌમ અધિકાર છે.
ફ્રેન્ચ ફિલોસોફરો કહે છે તેમ, “તમે જીવવા માટે કામ કરો છો, કામ કરવા માટે જીવતા નથી.” ભારત જેવા વિશાળ વસ્તીવાળા અને બેરોજગારીથી પીડાતા દેશમાં કદાચ રાતોરાત ‘રાઈટ ટુ ડિસ્કોનેક્ટ’ નો કાયદો સંસદમાં પસાર ન થઈ શકે, કારણ કે અહીં અવેજીમાં કામ કરવાવાળા લાખો લોકો લાઇનમાં ઊભા છે. પરંતુ, પરિવર્તન કાયદાથી નહીં તો કોર્પોરેટ સંસ્કૃતિથી આવવું જ પડશે. જો કંપનીઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ ટેલેન્ટને સાચવી રાખવા માંગતી હશે, તો તેમણે કર્મચારીના ‘ડિસ્કનેક્ટ’ થવાના અધિકારને સન્માન આપવું જ પડશે. કારણ કે, ઓફિસની ખુરશીઓ પર બેઠેલા લોકો મશીન નથી, તેમની છાતીમાં પણ એક હૃદય ધબકે છે જેને શાંતિથી શ્વાસ લેવા માટે થોડા ‘ઑફ-લાઇન’ કલાકોની સખત જરૂર છે!
‘રાઈટ ટુ ડિસ્કોનેક્ટ’ ની ગ્લોબલ મુવમેન્ટ
● ફ્રાન્સ (દિશા બતાવનાર દેશ): દુનિયામાં સૌપ્રથમ વાર ૨૦૧૭ માં ફ્રાન્સે આ કાયદો લાગુ કર્યો હતો. ૫૦ થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપની માટે ફરજિયાત છે કે તેઓ કર્મચારી સાથે બેસીને એગ્રીમેન્ટ કરે કે કયા કલાકોમાં તેમને મેસેજ કે ઈમેલ નહીં કરવામાં આવે. નિયમ તોડનાર કંપનીને ૬૮,૦૦૦ યુરો (આશરે ૬૧ લાખ રૂપિયા) સુધીનો દંડ થાય છે.
● કેન્યા (આફ્રિકામાં નવો ચીલો ચાતર્યો): માત્ર વિકસિત દેશો જ નહીં, પરંતુ આફ્રિકાના કેન્યાએ પણ આ બાબતે બિલ રજૂ કર્યું છે, જે અંતર્ગત જો કર્મચારી રજાના દિવસે કે ઓફિસ સમય પછી કોઈ કામ કરે, તો તેને ‘ઓવરટાઇમ’ ના કડક ધોરણો મુજબ વળતર આપવું ફરજિયાત બનશે.
● વોક્સવેગન મોડેલ: જર્મનીની દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની વોક્સવેગને કાયદો બને તેની રાહ જોયા વિના પોતાની જ સિસ્ટમ એવી ગોઠવી છે કે શિફ્ટ પૂરી થયાની 30 મિનિટ પછી કંપનીના સર્વરમાંથી કર્મચારીના ફોન પર ઈમેલ આવવાના જ આપમેળે બંધ થઈ જાય છે, જે સીધા બીજા દિવસે સવારે શિફ્ટ શરૂ થવાની 30 મિનિટ પહેલા જ ચાલુ થાય છે! મશીન બંધ, માણસ મુક્ત.
