“ભારત કેમ ” વિશ્વગુરુ ” નથી બની શક્યું?”,RSS વડા મોહન ભાગવતે કારણ જણાવ્યા
જો કે વિશ્વને નવી દિશા ભારત જ આપશે તેવો વિશ્વાસ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું છે કે ભારત પાસે વિશ્વને નવી દિશા અને સર્વાંગી ઉકેલ આપવાની ક્ષમતા છે, પરંતુ ‘વિશ્વગુરુ’ બનવાનું સ્વપ્ન હજુ સાકાર થયું નથી કારણ કે દેશે તે માટે જરૂરી તૈયારી કરી નથી. નાગપુરમાં સંઘના સ્વયંસેવક પ્રશિક્ષણ શિબિરના સમાપન પ્રસંગે તેમણે કહ્યું હતું કે ભારત લાંબા સમયથી વિશ્વગુરુ બનવાની વાત કરે છે, પરંતુ તેની સૌથી મોટી અડચણ પોતાની અપૂરતી તૈયારી છે.
ભાગવતે કહ્યું કે ભારત માટે અનુકૂળ સમય આવી ગયો છે, છતાં માત્ર સમય અનુકૂળ હોવો પૂરતું નથી. વિશ્વસ્તરે મોટી જવાબદારી નિભાવવા માટે દેશને વધુ સમૃદ્ધ, શક્તિશાળી અને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આજે વિશ્વ સંઘર્ષો, સામાજિક વિભાજનો અને પર્યાવરણીય પડકારો વચ્ચે નવી દિશાની શોધમાં છે અને તે માર્ગ ભારત જ બતાવી શકે છે.
તેમણે વિકાસ અને પર્યાવરણ વચ્ચેના સંતુલનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમના મતે વિશ્વ હજુ આ બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં મૂંઝવણ અનુભવી રહ્યું છે, જ્યારે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓમાં તેનો માર્ગ રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના મૂલ્યો અને વિચારધારા સમગ્ર માનવજાત માટે ઉપયોગી બની શકે છે, પરંતુ તે માટે દેશે પોતાની આંતરિક શક્તિ વધુ મજબૂત કરવી પડશે.
આ પણ વાંચો: શ્રેયસ અય્યર હવે ટી-૨૦ ટીમનો કેપ્ટન
શક્તિશાળી રાષ્ટ્રો સામે નબળાં દેશો સમાધાન કરવા મજબૂર
મોહન ભાગવતે કહ્યું કે આજના વિશ્વમાં ન્યાય કે સિદ્ધાંતો કરતાં શક્તિનું વધારે મહત્ત્વ છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની અસર વિશ્વભરના દેશો પર પડી રહી છે અને તેના કારણે તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે શક્તિશાળી દેશો પોતાના હિત મુજબ નિર્ણયો લે છે, જ્યારે પૂરતી શક્તિ ન ધરાવતા દેશો સમાધાન કરવા અને તેમની વાત માનવા મજબૂર બને છે. “બીજા દેશ પર કબજો કરવો, બોમ્બમારો કરવો કે પછી વિશ્વના તેલ પુરવઠાને અસર પહોંચાડવી જેવી બાબતો પાછળ પણ શક્તિ જ કામ કરતી હોય છે,” એમ તેમણે જણાવ્યું હતું. ભારતને વિશ્વમાં વધુ અસરકારક ભૂમિકા ભજવવી હોય તો તેને આર્થિક અને વ્યૂહાત્મક રીતે વધુ સશક્ત બનવું પડશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.
વિભાજનકારી તત્વો દેશને નબળો પાડી રહ્યા છે
ભાગવતે ચેતવણી આપી હતી કે દેશની અંદર અને બહાર એવા તત્વો સક્રિય છે જે ભારતને મજબૂત અને મહાન રાષ્ટ્ર તરીકે ઊભરતું જોવા માંગતા નથી. આવા તત્વો નાના-નાના મુદ્દાઓને બહાનું બનાવી સમાજમાં અશાંતિ અને વિભાજન ફેલાવવાનો પ્રયાસ કરે છે. ભારતના મૂલ્યો અને પરંપરાઓ મજબૂત બનશે તો વિશ્વમાં કેટલાક વર્ગોની સ્થિતિ નબળી પડશે તેવી ભીતિથી પણ વિવિધ પ્રભાવ પાડવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું તેમણે સૂચક શબ્દોમાં જણાવ્યું હતું.
