રાજકોટની વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટનો લાઇવ અનુભવ: AAIએ ઉભું કર્યું ટર્મિનલ-રનવેનું મોડેલ, એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મુલાકાતીઓ માટે એક અનોખો અને યાદગાર અનુભવ ઉપલબ્ધ બનશે. સમિટમાં આવેલા લોકો માટે એવું લાગશે કે જાણે તેઓ સાચા એરપોર્ટ પર આવ્યા હોય, ટર્મિનલમાં બેઠા હોય અને ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હોય. આ અનોખો અનુભવ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા તૈયાર કરાયેલા વિશેષ સ્ટોલના કારણે શક્ય બનશે.
વાઇબ્રન્ટ સમિટના ગેટ નંબર–4 ખાતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વિશાળ અને આકર્ષક સ્ટોલ ઉભો કર્યો છે, જેમાં એરપોર્ટ ટર્મિનલ, રનવે તથા ATC (એર ટ્રાફિક કન્ટ્રોલ) ટાવરનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સ્ટોલમાં પ્રવેશતા જ મુલાકાતીઓને આધુનિક એરપોર્ટની સંપૂર્ણ અનુભૂતિ થાય છે, જે ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ અને એવિએશન ક્ષેત્રમાં રસ ધરાવનારાઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો :વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે: હીરાસર એરપોર્ટ પર ટૂંકું રોકાણ,સોમનાથમાં ભવ્ય સ્વાગત,અદભુત ડ્રોન શો નિહાળશે
આ સ્ટોલ મારફતે એવિએશન ક્ષેત્રમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ભૂમિકા, જવાબદારીઓ અને કામગીરી અંગેની સમગ્ર જાણકારી સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એરપોર્ટની યોજના, વિકાસ, સુરક્ષા વ્યવસ્થા, એર ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ દેશના વિવિધ એરપોર્ટ્સના સંચાલન અંગે વિગતવાર માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે.
વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે એએઆઈના ચેરમેન વીપીન કુમાર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુજોય ડે સહિત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ અને તકનિકી ટીમ રાજકોટ આવી છે. અધિકારીઓ દ્વારા સ્ટોલ પર મુલાકાતીઓને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દીની તકો અંગે પણ માહિતી આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ ભાગીદારી એવિએશન ક્ષેત્રના વિકાસ અને જનજાગૃતિ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. સ્ટોલને મળતો પ્રતિસાદ દર્શાવે છે કે, સામાન્ય લોકોમાં પણ હવે એરપોર્ટ અને એવિએશન ક્ષેત્ર પ્રત્યે રસ વધી રહ્યો છે.
