CJPનું આવતીકાલે રાષ્ટ્રવ્યાપી વિરોધનું આહ્વાન, SOP અને માર્ગદર્શિકા જાહેર
NEET-UG 2026 પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ બર્બરતાના મુદ્દે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) એ આવતીકાલે, શુક્રવાર (24 જુલાઈ) ના રોજ દેશભરમાં રાષ્ટ્રવ્યાપી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
પાર્ટીએ સોશિયલ મીડિયા પર “દરેક જિલ્લો. એક દિવસ. એક માંગ” ના નારા સાથે એક પોસ્ટર શેર કરીને તમામ સમર્થકો, વિદ્યાર્થી સંગઠનો અને નાગરિક સમાજના જૂથોને આ પ્રદર્શનમાં જોડાવા અપીલ કરી છે.
આયોજકો માટે CJPની માર્ગદર્શિકા (SOP):
વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે CJP એ એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP), ઝુંબેશ સામગ્રી અને મેમોરેન્ડમ ટેમ્પલેટ જાહેર કર્યું છે:
સંકલન અને પરવાનગી: સ્થાનિક આયોજકોએ અન્ય વિદ્યાર્થી સંગઠનો સાથે સંકલન સાધીને સ્થાનિક તંત્ર પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવાની રહેશે.
એકતા અને માંગણીઓનું વાચન: નિયુક્ત સ્થળોએ એકઠા થઈને ભીડ સમક્ષ વિદ્યાર્થીઓની મુખ્ય માંગણીઓ વાંચવામાં આવશે અને પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા લોકો સાથે એકતા દર્શાવવામાં આવશે.
આવેદનપત્ર: પ્રદર્શન પૂર્ણ થયા બાદ સંબંધિત જિલ્લા કલેક્ટર/અધિકારીઓને એક મેમોરેન્ડમ (આવેદનપત્ર) સુપરત કરવાનું રહેશે.
આ પણ વાંચો: દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી
વાર્તાઘાટના સ્થળ અંગે સરકાર અને CJP વચ્ચે ખેંચતાણ
બીજી તરફ, દિલ્હીમાં ચાલુ આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ફરી એકવાર CJP સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે.
સરકારનો પક્ષ: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડાએ ગુરુવારે જણાવ્યું હતું કે, “સરકાર CJP સાથે ચર્ચા કરવા તૈયાર છે. પાર્ટીના નેતાઓ સત્તાવાર નિવાસસ્થાન અથવા કાર્યાલય પર આવીને મળી શકે છે.” આ ઉપરાંત, સરકાર રાજીનામા જેવી પૂર્વશરતો વિના ચર્ચા કરવા ફ્લોર નેતાઓની બેઠક બોલાવે તેવી શક્યતા છે.
CJPનો જવાબ: સીજેપીએ સરકારના પ્રસ્તાવિત સ્થળને ફગાવી દીધું છે અને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વાટાઘાટો માત્ર જંતર-મંતર પર અથવા તો તેની આસપાસ જ થવી જોઈએ, જ્યાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
