દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ થતાં સુપ્રીમ કોર્ટના કર્મચારીઓ, વકીલોને હાલાકી
અનેક વકીલો કોર્ટ સુધી પહોંચી ન શક્યા; જાતે હસ્તક્ષેપ કરવાનું ચીફ જસ્ટિસનું આશ્વાસન
જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિદ્યાર્થી આંદોલનને પગલે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશનો સતત બંધ રાખવામાં આવતા તેની અસર ગુરુવારે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પણ બંધ હોવાથી અનેક વકીલો, કોર્ટના કર્મચારીઓ અને અરજદારોને કોર્ટ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી હતી.
સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત સમક્ષ આ મુદ્દો ઉઠાવી જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના પ્રવેશ પાસ ધરાવતા વકીલો અને રજિસ્ટ્રીના કર્મચારીઓને સુરક્ષા તપાસ બાદ સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પરથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવે તો સમસ્યાનો વ્યવહારુ ઉકેલ મળી શકે. અન્ય મુસાફરોને આગળના સ્ટેશન સુધી જવા સૂચના આપી શકાય.
આ પણ વાંચો: એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ
આ રજૂઆત પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના વહીવટીતંત્રને દિલ્હી મેટ્રો સત્તાધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરવા પહેલેથી જ સૂચના આપવામાં આવી છે. તેમ છતાં બપોર સુધીમાં સ્ટેશન ખોલવા અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો તેઓ જાતે જ હસ્તક્ષેપ કરશે.
પ્રતિકૂળ આદેશ ન આપવા સૂચના
ચીફ જસ્ટિસે વધુમાં જણાવ્યું હતું કે, મેટ્રો બંધ હોવાને કારણે વકીલો સમયસર કોર્ટમાં હાજર રહી શક્યા નથી. તેથી આજે માત્ર ગેરહાજરીના આધારે કોઈ વકીલ સામે પ્રતિકૂળ આદેશ ન આપવા પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રોએ ગુરુવારે સવારે સુપ્રીમ કોર્ટ સહિત કુલ 16 મેટ્રો સ્ટેશનો આગામી સૂચના સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ પગલાંને કારણે મધ્ય દિલ્હીમાં કોર્ટ કાર્યવાહીમાં હાજરી આપતા વકીલો, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
