આજકાલ હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે જુનાગઢમાં પણ હત્યાની ઘટના સામે આવી છે જેમાં 500 રૂપિયા જેવી સામાન્ય બાબતે યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પાડોશમાં રહેતા યુવાને જ હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડીને પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર આ જૂનાગઢના સક્કરબાગ નજીક રામદેવ પરા વિસ્તારની છે જ્યાં 29 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. ત્યારે પાડોશમાં જ રહેતા યુવકે 29 વર્ષીય સંજય મકવાણા નામમાં યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા.ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
500 રૂપિયા માટે મધરાતે ખુનીખેલ ખેલાયો હતો જેમાં યુવકનું મોત નીપજતા ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.આ હત્યાની જાણ થતા જુનાગઢ ડીવાયએસપી ,પીઆઈ, પીએસઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.
હત્યા મામલે જુનાગઢ ડીવાયએસપીનું નિવેદન
જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ જણાવ્યું હતું કે જુનાગઢ સકરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં સંજય મકવાણા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. પાડોશમાં રહેતા દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના યુવકે પૈસા ને લેતી દેતી મામલે છરીના ઘા માર્યા હતા.ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ સારવાર લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જે મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા આઇપીસી કલમ 302 મુજબનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપી દેવો ઉર્ફે લીંડી ચૌહાણને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે….