આજથી સાંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે. જેમાં સરકાર અને વિપક્ષ સામસામે આવી જવાની પૂરેપૂરી સંભાવના છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુના જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ આ સત્ર 13ઓગસ્ટ સુધી ચાલશે અને તેમાં કુલ 19 બેઠકો યોજાશે. સત્રની શરૂઆત પહેલાં જ યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વાતાવરણ ગરમાયું હતું. વિપક્ષે અયોધ્યા રામ મંદિર ચંદા ચોરી અને સીમાંકન બિલ જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ સ્પષ્ટ કરી દેતાં સત્ર તોફાની બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
સરકાર આ સત્રમાં અનેક મહત્વના કાયદાકીય કામકાજ પૂર્ણ કરવા ઈચ્છે છે, જેના માટે કુલ ૭ બિલોની યાદી તૈયાર કરવામાં આવી છે.નવા રજૂ થનાર બિલોમાં
આવકવેરા (સુધારા) બિલ 2026, સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારા બિલ 2026 અને જન્મ-મરણ નોંધણી બિલ રજૂ કરાશે., એ ઉપરાંત
રાષ્ટ્રીય સન્માન રક્ષણ બિલ – વંદે માતરમ્ ગીતના અપમાન કે અવરોધ બદલ કડક સજાની જોગવાઈ કરતું ‘પ્રિવેન્શન ઓફ ઈન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર’ બિલ પણ લાવવામાં આવશે. અગાઉથી પેન્ડિંગ રહેલા વિદેશી ફંડિંગ (FCRA) સુધારા બિલ અને વિકસિત ભારત શિક્ષણ અધિષ્ઠાન બિલ પર પણ ચર્ચા થશે.
આ પણ વાંચો: કાશ્મીરમાં જળ તાંડવ,નદીઓ ગાંડીતૂર, પર્વતો પરથી ભેખડો ધસી, 11ના મોત
રામ મંદિર દાન ચોરી, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ: વિપક્ષોએ શસ્ત્રો સજાવ્યા
સાંસદના આ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષોએ સંયુક્ત વ્યૂહ ઘડી કાઢતા ગૃહમાં ભારે તોફાની દૃશ્યો સર્જવાની શક્યતા છે. અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં મળેલી રકમની કથિત ચોરી અને ગેરરીતિઓનો મુદ્દો વિપક્ષ મુખ્ય રીતે ઉઠાવશે. આ ઉપરાંત NEET-UG પરીક્ષાના પેપર લીક થવાના વિવાદ અને અનિયમિતતાઓને લઈને વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પર પસ્તાળ પાડશે. આ મુદ્દે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની ભૂખ હડતાળના મામલાને જોડીને વિપક્ષ મંત્રીના તાત્કાલિક રાજીનામા માટે સંસદના બંને ગૃહો માથે લે તેવી શક્યતા છે. આ ઉપરાંત, સૈન્ય ઓપરેશન સંબંધી વિવાદો પણ ગૃહમાં ગુંજી શકે છે.
સીમાંકન બિલ પર ઘર્ષણ
મહિલા અનામતના અમલીકરણ અને લોકસભા બેઠકોના પુનર્ગઠન સાથે જોડાયેલું સીમાંકન બિલ (131મું બંધારણીય સુધારા બિલ) અગાઉ વિપક્ષી એકતાના કારણે અટકી પડ્યું હતું. આ સત્રમાં એ બિલ રજૂ કરવામાં આવશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.
સરકાર જો આ બિલની સંશોધિત આવૃત્તિ લાવવાનો પ્રયાસ કરશે, તો પ્રાદેશિક સંતુલનને મુદ્દે ભારે ધમાલ થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.
