રાજ્યસભા ઉમેદવારી મામલે કોંગ્રેસને ફટકો: મીનાક્ષી નટરાજનની અરજી સુપ્રીમે ફગાવી
ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં
“ચૂંટણી બાદ ઇલેક્શન પીટીશનનો માર્ગ ખુલ્લો, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા
મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનની ઉમેદવારી ફગાવવાના નિર્ણયને પડકારતી અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ પ્રશાંતકુમાર મિશ્રા અને અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય ત્યારે અદાલતો હસ્તક્ષેપ કરી શકતી નથી અને ઉમેદવારી ફગાવાઈ હોય તો તેનો ઉપાય ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇલેક્શન પીટીશન દાખલ કરવાનો જ છે.
કોર્ટે નોંધ્યું કે રિટર્નિંગ ઓફિસરે નટરાજનની ઉમેદવારી એ કારણસર ફગાવી હતી કે તેમણે ફોર્મ-26માં જરૂરી વિગતો સંપૂર્ણ રીતે જાહેર કરી નહોતી અને તેમની સામે ચાલતા એક ફરિયાદ કેસનો ઉલ્લેખ કર્યો નહોતો. રિટર્નિંગ ઓફિસરના આદેશમાં એ પણ નોંધાયું હતું કે નટરાજનને કેસની જાણકારી હતી, કારણ કે તેમણે તે કાર્યવાહીમાં લેખિત રજૂઆત પણ કરી હતી.
આ પણ વાંચો: માઉન્ટ આબુ જતો રસ્તો 9 મહિના માટે બંધ રહેશે
નટરાજને આ નિર્ણય સામે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો અને 10 જૂને સંપૂર્ણ ચૂંટણી પંચ સમક્ષ વ્યક્તિગત રીતે દલીલો પણ રજૂ કરી હતી, પરંતુ તેમની રજૂઆત અંગે કોઈ નિર્ણય આવ્યો નહોતો. ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે જોકે અગાઉના અનેક ચુકાદાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ચૂંટણી પ્રક્રિયાના કોઈપણ તબક્કે ન્યાયિક હસ્તક્ષેપને પ્રોત્સાહન આપી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ઉમેદવારી ફગાવવાનો નિર્ણય ખોટો કે ગેરકાયદેસર હોવાનું માનવામાં આવતું હોય તો પણ તેનો યોગ્ય ઉપાય ચૂંટણી બાદ ચૂંટણી અરજી જ છે.
મીનાક્ષી નટરાજન પક્ષની મુખ્ય દલીલો
વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી કે બંધારણની કલમ 329(બ) હેઠળનો પ્રતિબંધ આ કેસમાં લાગુ પડતો નથી.
જે ફરિયાદ કેસનો ઉલ્લેખ ન કરવાના આધારે ઉમેદવારી ફગાવાઈ, તેમાં ન તો અદાલતે સંજ્ઞાન લીધું હતું અને ન આરોપો નક્કી કરાયા હતા.
અસાધારણ સંજોગોમાં બંધારણીય અદાલતો ચૂંટણી પ્રક્રિયાને મદદરૂપ થવા હસ્તક્ષેપ કરી શકે છે.
ચૂંટણી પંચ અને અન્ય પક્ષોની દલીલો
ચૂંટણી લડવાનો અધિકાર મૂળભૂત નહીં પરંતુ કાયદાકીય (Statutory) અધિકાર છે.
ફોર્મ-26માં તમામ પેન્ડિંગ ફોજદારી કેસોની માહિતી જાહેર કરવી ફરજિયાત છે.
ચૂંટણી પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કલમ 32 અથવા 226 હેઠળ અદાલતનો હસ્તક્ષેપ માન્ય નથી.
રિટર્નિંગ ઓફિસરે નિયમો મુજબ જ નિર્ણય લીધો હતો.
સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણીઓ
ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપ ન કરવાનો સિદ્ધાંત લાંબા સમયથી સ્થાપિત છે.
ઉમેદવારી ફગાવવાના કેસોમાં ‘ગંભીર ગેરકાયદેસર’ અને ‘સામાન્ય’ કેસ વચ્ચે ભેદભાવ કરવાની કોઈ જોગવાઈ બંધારણમાં નથી.
કેટલાક કેસોમાં હસ્તક્ષેપ અને કેટલાકમાં નહીં, એવી વ્યવસ્થા બંધારણીય માળખામાં ઉમેરવી અદાલતનું કામ નથી.
ઉમેદવારી ફગાવાયેલા ઉમેદવારોએ સામાન્ય રીતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઇલેક્શન પીટીશનનો માર્ગ અપનાવવો જોઈએ.
