કાવડ યાત્રા: દિલ્હી – હરિદ્વાર હાઈવે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ
ભારે વાહનો પર 30 જુલાઈથી જ પ્રતિબંધ શરૂ : કાવડિયાઓ માટે હાઇવેનો એક ભાગ અનામત રહેશે,
કાવડ યાત્રાને પગલે ઉત્તર પ્રદેશમાં દિલ્હી-હરિદ્વાર નેશનલ હાઇવે અને ગંગા કેનાલ રોડ પર ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. 30 જુલાઈથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાગુ થશે, જ્યારે 4થી 12 ઓગસ્ટ સુધી તમામ પ્રકારના વાહનો માટે બંને માર્ગ સંપૂર્ણપણે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઇવેનો એક ભાગ માત્ર કાવડિયાઓ માટે અનામત રાખવામાં આવશે.
30 જુલાઈથી શરૂ થઈ 11 ઓગસ્ટ સુધી ચાલનારી કાવડ યાત્રા દરમિયાન લાખો શિવભક્તો હરિદ્વારથી ગંગાજળ લઈ પોતાના વતનમાં આવેલા શિવ મંદિરોમાં જળાભિષેક કરવા પહોંચશે. યાત્રા દરમિયાન ભારે ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે વિશેષ ટ્રાફિક પ્લાન અમલમાં મૂક્યો છે.
ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ 30 જુલાઈથી દિલ્હી-હરિદ્વાર નેશનલ હાઇવે અને ગંગા કેનાલ રોડ પર ભારે વાહનોની અવરજવર રોકી દેવામાં આવશે. ત્યારબાદ 4થી 12 ઓગસ્ટ સુધી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. યાત્રાળુઓને સરળ અને સુરક્ષિત રીતે અવરજવર કરી શકે તે માટે હાઇવેનો એક ભાગ માત્ર કાવડિયાઓ માટે અનામત રાખવામાં આવશે.
આ પણ વાંચો: ભાજપના સભ્યો દ્વારા સંસદ પરિસરમાં ધર્મેન્દ્ર પ્રધાન ઝિંદાબાદના જોશીલા નારા
જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે સમગ્ર રૂટ પર સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને ભીડ વ્યવસ્થાપન માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દિલ્હી-દેહરાદૂન હાઇવે પર રામપુર તિરાહા ખાતે અસ્થાયી પોલીસ સ્ટેશન પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં વિશેષ પોલીસ દળ તૈનાત રહેશે.
સ્નાનઘાટો પર વિશેષ પોલીસ બંદોબસ્ત
કાવડ યાત્રા દરમિયાન ગંગા કેનાલ માર્ગ પર આવેલા તમામ મુખ્ય સ્નાનઘાટો પર પોલીસ ડાઇવરો સહિત વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓના સ્નાન દરમિયાન કોઈ દુર્ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ, બચાવ ટીમો અને તાકીદની સેવા પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. રામપુર તિરાહા ખાતે અસ્થાયી પોલીસ સ્ટેશન શરૂ કરી આશરે 20 પોલીસકર્મીઓની નિમણૂક કરવામાં આવી છે.
કાવડ યાત્રા દરમિયાન તોડફોડના બનાવો ચિંતાનો વિષય
કાવડ યાત્રા દરમિયાન દર વર્ષે દેશના વિવિધ ભાગોમાં કાવડિયાઓ સાથે જોડાયેલા તોડફોડ, વાહનોને નુકસાન પહોંચાડવા, માર્ગ અવરોધ અને સામાન્ય લોકો સાથેના વિવાદોના બનાવો સામે આવતા રહે છે. ઘણી વખત નાનકડી તકરાર પણ હિંસક સ્વરૂપ ધારણ કરતી હોવાથી પોલીસ અને વહીવટીતંત્ર માટે કાયદો-વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર ઉભો થાય છે. આ જ કારણસર આ વર્ષે પણ અગાઉથી કડક ટ્રાફિક નિયંત્રણ, વધારાનો પોલીસ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
