રાજકોટનાં અગ્નિકાંડની અસર દેખાશે લોકમેળામાં…સ્ટોલની સંખ્યા ઘટશે
આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ૨૪ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાના આયોજન અંગેની પ્રથમ બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને લઈ ક્રાઉડ કંટ્રોલ માટે સ્ટોલની સંખ્યા ઘટાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. દર વર્ષે રાજકોટના લોકમેળામાં અલગ-અલગ જાતના 371 સ્ટોલને મંજુરી આપવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે સ્ટોલની સંખ્યા ઘટશે. એટલે આ વર્ષે લોકમેળામાં ૨૩૧ સ્ટોલને મંજુરી આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આ બેઠકમાં સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ ૧૯ સમિતિઓના અધ્યક્ષોને તેમની કામગીરી પૂર્ણ સજ્જતા સાથે કરવાના આદેશો આપ્યા હતા.અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીએ બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત તમામ સમિતિઓના સભ્યોને આવકાર્યા હતા. લોક મેળા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત અધિકારી શ્રી ચાંદનીબેન પરમારે પી.પી.ટી.ના માધ્યમથી લોકમેળાના આયોજન અંગેની તમામ બાબતો આ બેઠકમાં રજૂ કરી હતી.
આ બેઠકમાં મેળાની રાઈડઝ તથા દુકાનોમાં ૪૦ % ઘટાડો કરી યોગ્ય રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વાસી ખોરાકનો નાશ કરી લોકોના આરોગ્યની જાળવણી કરવા, છાપેલા ભાવ કરતાં વધુ ભાવે ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખવા, કંટ્રોલરૂમ-એમ્બ્યુલન્સ-ફાયર સેફ્ટી વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા, સરકારી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઈડઝ ચાલુ કરવા, રાત્રે ૧૧.૩૦ વાગ્યે એન્ટ્રી બંધ કરાવવા, એન્ટ્રી-એક્ઝિટ તથા ખોવાયેલા બાળકો માટે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, તથા મેળાના ઉદ્ઘાટન તથા પાંચ દિવસ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, એન.ડી.આર.એફ. અને ડીઝાસ્ટરની ટીમ તૈયાર રાખવા, વગેરે તમામ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે, ડી.સી.પી. જગદીશ બંગારવા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પ્રાંત અધિકારી નિશા ચૌધરી અને વિમલ ચક્રવર્તી, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર બી.એ.અસારી, એ.સી.પી. યાદવ, ગઢવી તથા રાધિકા ભારાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિહોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.સિંઘ, તથા લોકમેળા સાથે સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.