સુરક્ષા માટે આપો સાથ: રહેણાંક સોસાયટીઓને સીસીટીવીનું કવચ અપાવવા પોલીસની અપીલ
સોસાયટીના પ્રમુખ કે જવાબદારોને સંબંધિત પીઆઇ પત્ર પાઠવી ટીમ રૂબરૂ જઇ સીસીટીવી માટે સમજાવશે: ડીસીપી રાકેશ દેસાઇ દ્વારા અંગત રસરૂચિ સાથે આરંભાયુ અભિયાન
સીસીટીવી કેમેરા એ તિસરી આંખ જેવું ગુનો બનતા અટકાવવા કે કોઈ ઘટના બને તો તુરંત જ ઉકેલવા સુધી આશીર્વાદરૂપ સાધન છે. પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ માટે તો સીસીટીવી અને મોબાઈલ ફોન બન્ને અમોદ્ય હથિયાર ખરા અર્થમાં સાથી જેવા છે. વ્યવસાયિક સ્થળો, સંકૂલોમાં તો નિયમ મુજબ સીસીટીવી કેમેરા ફરજિયાત છે જ પરંતુ રહેણાંક વસાહતો, સોસાયટીઓને પણ સીસીટીવીનું સુરક્ષા કવચ પ્રદાન થાય તેવા રાજકોટ શહેર પોલીસ દ્વારા હકારાત્મક પ્રયાસ શરૂ કરાયા છે. ઝોન-૨ વિસ્તારમાં આવતા એરિયામાં સીસીટીવી ઈન્સ્ટોલ કરાવવા માટે ડીસીપી રાકેશ દેસાઈ દ્વારા અંગત રસરૂચિ દાખવી અભિયાન આરંભાયું છે.
શહેર પોલીસ ઝોન-૨ એરિયામાં આવતા પોલીસ મથકો માલવિયાનગર, એ-ડિવિઝન, ગાંધીગ્રામ, તાલુકા, પ્ર.નગર તથા યુનિવર્સિટી રોડ વિસ્તાર પોલીસ સ્ટેશનના અન્ડરમાં આવા એરિયાઓમાં સરકારના નિયમ પ્રમાણે કોમર્શિયલ પ્રોપર્ટી, દુકાનો, સંકૂલોમાં સીસીટીવી ફરજિયાત છે જ ન હોય ત્યાં કેસ પણ નોંધાય છે. પ્રવર્તમાન સમયમાં સીસીટીવી એ એક પ્રકારના સિક્યુરિટી ગાર્ડ કે સિસ્ટમરૂપ છે. સીસીટીવી હોય ત્યાં કોઈ ચોર, બદમાશ કે આવા ગુનેગારો ગુના કરતા ખચકાય છે. ચોરીચપાટી, ઘરફોડી આવી ઘટનાઓ ઓછી બને છે અને જો બની હોય તો આવી જે તે વસાહતો, સોસાયટીઓમાં સીસીટીવી હોય તો પોલીસ સીસીટીવીની મદદથી ગુનેગારને શોધી શકે કે ગુનાનો ભેદ ઉકેલી શકે છે.
આ પણ વાંચો: ગર્ભ રાખવો કે નહી તેનો અંતિમ નિર્ણય મહિલા જ લઈ શકે, પતિ નહી
ડીસીપી રાકેશ દેસાઈના જણાવ્યા મુજબ સીસીટીવી હવે જરૂરિયાત જેવી વસ્તુ બની ગઈ છે. કોમર્શિયલમાં તો નિયમ મુજબ ફરજિયાત છે જ પરંતુ જો રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ કવર થાય તો ચોરી કે અન્ય આ પ્રકારની કોઈપણ ગુનાખોરી અટકી શકે. ગુનાખોરી તો અટકે એ છે જ સાથે જો કોઈ પાડોશીઓને કોઈ આંતરિક ઈસ્યુ થયા હોય અને મારામારી કે ઝઘડો કર્યાના સાચા-ખોટા બ્લેઈમ કે ફરિયાદ કરે તો સીસીટીવીથી અન્ય બહાર આવી શકે. ખાસ તો સુરક્ષા, સલામતિને ધ્યાને લઈને પોલીસ મથકોના પીઆઈને સૂચના અપાઈ છે કે તમારા વિસ્તારમાં આવતી તમામ રહેણાંક સોસાયટીઓ કે જ્યાં સીસીટીવી ન હોય તેવા રહેણાંક બિલ્ડિંગોમાં પ્રમુખ કે જવાબદાર એસોસિએશનને પત્ર લખીને સીસીટીવીથી તેઓની વસાહતો સુરક્ષિત કરાવવાના પ્રયાસો છે. આ માટે અપીલ પત્ર સાથે જે તે પોલીસ મથકોની ટીમ રૂબરૂ મળીને પણ સમજાવટ કરે છે, કરાવે છે કે સીસીટીવી શા માટે જરૂર છે. સરવાળે પોલીસનો ધ્યેય પ્રજાની જાન માલની સુરક્ષા સલામતિ માટેનો છે અને મહદ્અંશે સોસાયટીઓમાંથી સારો સહયોગ મળી રહ્યો છે. દર મહિને દરેક પીઆઈ પાસેથી પર્સનલી ડેટા પણ લેવાય છે કે ક્યા વિસ્તારોને સીસીટીવીથી કવર કરાવાયા, કેટલા કેમેરા નખાવાયા.
પુરી સોસાયટી કવર થાય તેવો હેતુ
રહેણાંક વસાહતો, સોસાયટીમાં કોઈ કોઈ મિલકત ધારકો, આરોપીઓ પોતાની રીતે પોતાની મિલકત કવર થાય એ રીતે સીસીટીવી ઈન્સ્ટોલ કરાવાના હોય છે. આ બાબત જાગૃતિ કે સુરક્ષાની દૃષ્ટિએ સારી જ છે પરંતુ પુરી સોસાયટી કે તમામ માર્ગો, શેરીઓ બધી કે મહત્તમ મિલકતો મુખ્યત્વે એન્ટર-એક્ઝિટ પોઈન્ટ્સ તથા બ્લેક પોઈન્ટ્સ કવર થાય તે રીતે પુરી સોસાયટીની સીસીટીવીનું કવચ મળે કે કવર થાય તેવા હેતુસર પોલીસ દ્વારા આ અભિગમ અપનાવાયો છે.
