વિકાસ પથ પર રાજકોટ: કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની પત્રકાર પરિષદમાં મહત્વના નિર્ણયો અને સિદ્ધિઓની જાહેરાત
રાજકોટ જિલ્લાના સર્વાંગી વિકાસ, કાયદો અને વ્યવસ્થા તેમજ આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓને લઈને આજે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડિજિટલ ઘર ગણતરી, હાઈવે પર દબાણ હટાવવાની ઝુંબેશ, પ્રી-મોન્સૂન પ્લાનિંગથી લઈને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે સંપૂર્ણપણે સજ્જ અને કટિબદ્ધ છે.
પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા મુખ્ય મુદ્દાઓનો વિગતવાર અહેવાલ:
હાઈવે પર ગેરકાયદેસર ડિવાઈડર તોડનારાઓ સામે લાલ આંખ: ૧૫ દિવસનું અલ્ટીમેટમ
રાજકોટ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ અને નેશનલ હાઈવેની સમીક્ષા માટે ‘ડિસ્ટ્રિક્ટ કમિટી’ની ખાસ બેઠક યોજાઈ હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે કેટલાક સ્થાનિક ઉદ્યોગો અને પેટ્રોલ પંપ ચાલકો દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે હાઈવેના ડીવાઈડર ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા છે. ક્યાં કેટલા ડીવાઈડર તૂટ્યા: ભાવનગર રોડ પર ૫, કાલાવડ રોડ પર ૨, સ્ટેટ હાઈવે પર ૯ તેમજ નેશનલ હાઈવે પર પણ આ પ્રકારે બ્રેક કરવામાં આવ્યા છે. તંત્રની કડક કાર્યવાહી: ભાવનગર રોડ પર આ મામલે અજાણ્યા શખ્સો સામે નનામી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કમિટીએ કડક વલણ અપનાવતા નિર્ણય કર્યો છે કે જો આગામી ૧૫ દિવસમાં સંબંધિતો દ્વારા આ ડિવાઈડર રિપેર કરવામાં નહીં આવે, તો તેમની સામે કાયદેસરની એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવશે.
ડિજિટલ હાઉસ ઇન્યુમરેશન: જિલ્લામાં ૫.૮૫ લાખ ઘરોની ગણતરીનો લક્ષ્યાંક
રાજકોટ જિલ્લામાં હાલ ઘર ગણતરી (સેન્સસ) ની પ્રક્રિયા વેગવંતી બની છે. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન જનભાગીદારીથી ડિજિટલ હાઉસ ઇન્યુમરેશન કરાયું હતું, જેમાં અંદાજે ૨૦,૦૦૦ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ૧ જૂન થી ૩૦ જૂન સુધી હવે સર્વેયર્સ દ્વારા ઘરે-ઘરે જઈને વાસ્તવિક ઘર ગણતરી અને નંબર આપવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. કોર્પોરેશન સિવાયના ગ્રામ્ય વિસ્તારો માટે ૨,૭૧૧ ઇન્યુમરેટર અને ૪૪૬ સુપરવાઇઝર મેદાનમાં છે. રાજકોટના ગ્રામ્ય સેન્સસ બ્લોકમાં અંદાજે ૫,૮૫,૮૦૦ ઘરો હોવાનો અંદાજ છે. શરૂઆતમાં જે લોગઇન કે સર્વરની સમસ્યા હતી તે ઉકેલાઈ ગઈ છે અને કામ સમયસર પૂરું થશે.
પેટ્રોલ-ડીઝલની અછતની માત્ર અફવા: સ્થિતિ સંપૂર્ણ સામાન્ય
છેલ્લા થોડા દિવસોથી બજારમાં ફેલાયેલી પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ પર કલેક્ટરે પૂર્ણવિરામ મૂક્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે: જિલ્લામાં ઈંધણનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને કન્ઝ્યુમર પંપ દ્વારા સતત સપ્લાય ચાલુ છે. વહીવટી તંત્ર ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સાથે સતત સંપર્કમાં છે. નાગરિકોને કોઈપણ અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ છે. જ્યાં પણ છૂટાછવાયા પ્રશ્નો જણાય ત્યાં કેસ-ટુ-કેસ ધોરણે ત્વરિત નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ચોમાસા પૂર્વેની તૈયારી: ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ
આગામી ચોમાસાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. પ્રી-મોન્સૂન કામગીરીના ભાગરૂપે તમામ તાલુકા મથકો પર ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે. આ કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક (શિફ્ટ વાઈઝ) ફરજ બજાવશે. કોઈ પણ કુદરતી આપત્તિ કે અકસ્માતના સમયે તાત્કાલિક રિપોર્ટિંગ અને ક્વિક રિસ્પોન્સ આપવા સૂચના અપાઈ છે. ગઈકાલે જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ દરમિયાન પણ તંત્ર દ્વારા સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને તમામ વ્યવસ્થાઓ યોગ્ય જણાતા સંતોષ વ્યક્ત કરાયો હતો.
‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ માં રાજકોટ દેશમાં મોખરે
રાજકોટ જિલ્લાએ સોલાર ઉર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ રાજકોટને દેશના ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ્સ (શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ) માં સ્થાન મળ્યું છે, જે અંતર્ગત જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થશે.
યોજનાની આંકડાકીય ઝલક:
કુલ અરજીઓનો લક્ષ્યાંક: ૯૫,૬૦૦
મળેલી કુલ અરજીઓ: ૯૨,૨૦૩
કાર્યાન્વિત મીટર કનેક્શન: ૭૨,૩૦૯
કુલ ઇન્સ્ટોલેશન કેપેસિટી: ૨૬૪ મેગાવોટ (MW)
ચૂકવવામાં આવેલી કુલ સબસિડી: ૬૪૧ કરોડ
નોંધ: આ યોજના માર્ચ ૨૦૨૭માં પૂર્ણ થનાર છે, જેથી કલેક્ટરે બાકી રહેલા તમામ નાગરિકોને વહેલી તકે આ સબસિડી યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
૫ થી ૨૧ જૂન: વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષના સફળ કાર્યકાળને ઉજવવા માટે ગુજરાત સરકાર દ્વારા ૫ થી ૨૧ જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
વિકસિત ભારત સંકલ્પ સંમેલન: ૮ થી ૧૪ જૂન દરમિયાન આ સંમેલન યોજાશે, જેમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ એમ. લક્ષ્મણ ઉપસ્થિત રહેશે.
જનકલ્યાણ શિબિર: તમામ વોર્ડ અને નગરપાલિકા વિસ્તારમાં શિબિરો યોજીને આયુષ્માન ભારત સહિત કેન્દ્ર સરકારની ૧૫ જેટલી જનકલ્યાણકારી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવામાં આવશે.
પ્રગતિ પથ યાત્રા: ૮ થી ૧૪ જૂન દરમિયાન યોજાનારી આ યાત્રા અંતર્ગત જિલ્લાના મોટા પ્રકલ્પો જેવા કે અમૂલ ડેરી, અટલ સરોવર, એઇમ્સ (AIIMS) અને નવા એરપોર્ટની પ્રગતિ અને સિદ્ધિઓની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.
