સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને કારણે 73 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
ખેતીવાડી અને જ્યોતિગ્રામના 552 ફિડર બંધ થયા: 201 વીજપોલ-13 ટીસી ડેમેજ: વીજ પુરવઠો પૂર્વવત કરવા ટેકનિકલ ટીમો દોડતી થઈ
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડી રહેલા હળવાથી લઈને ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવો સામે આવ્યા છે. સોમવારે સાંજે 6 વાગ્યા સુધીમાં વરસાદને કારણે વીજપુરવઠો ખોરવાઇ જતાં 73 ગામમાં અંદારપટ્ટ છવાઈ ગયો હતો જ્યારે 552 ફિડર બંધ થયા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું જામ્યું છે અને છેલ્લા ત્રણેક દિવસથી જુદા-જુદા સ્થળોએ હળવા થી ભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ વરસાદને કારણે વીજ ધાંધીયા જોવા મળી રહ્યા છે. વરસાદે પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે.
વીજ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે સોમવારે સાંજે સુધીમાં વરસાદ અને પવનને કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 73 ગામોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. જેમાં સૌથી વધારે જામનગર સર્કલના 47 જૂનાગઢના 13, પોરબંદરના 11 અને રાજકોટ ગ્રામ્યના 2 ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. તો બીજી તરફ 552 ફિડર બંધ થયા હતા. જેમાં ખેતીવાડીમાં રાજકોટ ગ્રામ્યના 85, મોરબીમાં 29, પોરબંદરમાં 80, જૂનાગઢમાં 67, જામનગરમાં 127, ભુજના 56, અંજારના 2, ભાવનગરના 41, બોટાડના 4 અને અમરેલીના 40, જ્યારે જ્યોતિગ્રામ યોજનામાં રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢના 1-1, જામનગરના 14, અને પોરબંદરના 4 મળી કુલ 552 ફિડર બંધ થયા હતા.
તો બીજી તરફ ભારે પવનને કારણે વીજપોલ અને ટીસી પણ ડેમેજ થયા હતા. જેમાં સૌથી વધારે પોરબંદરમાં 71, જૂનાગઢમાં 35, જામનગરમાં 34, રાજકોટ ગ્રામ્યમાં 25 સહિત કુલ 201 વીજપોલ ડેમેજ થયા હતા. જ્યારે કુલ 13 ટીસી ડેમેજ થયા હતા. વીજ પુરવઠો ખોરવાઇ જતાં પીજીવીસીએલની ટેકનિકલ ટીમ દોડતી થઈ હતી અને ટિકનિકલ ટીમ દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.