ઝરમર વરસાદમાં મચ્છરો બેફામ: શરદી-ઉધરસના કેસ કાબૂ બહાર
ડેંગ્યુ-મેલેરિયાના કેસ મળ્યા: ઝાડા-ઊલટીના દર્દીમાં પણ વધારો
રાજકોટમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા નથી જેના કારણે લોકો પણ અકળામણ અનુભવી રહ્યા છે. અન્ય શહેરોની માફક વરસાદે હજુ રાજકોટનો `રાઉન્ડ’ લીધો નથી પરંતુ ઝરમર વરસાદને કારણે અત્યારે શહેરમાં મચ્છરો બેફામ બની ગયા છે સાથે સાથે ઋતુજન્ય રોગચાળો પણ કાબૂ બહાર ચાલ્યો ગયો હોવાનું મનપા દ્વારા જાહેર કરાયેલા રોગચાળાના આંકડા પરથી લાગી રહ્યું છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.૨૪-૬-૨૦૨૪થી તા.૩૦-૦૬-૨૦૨૪ સુધીના સાત દિવસમાં રોગચાળાના જાહેર કરેલા આંકડા પ્રમાણે મેલેરિયા-ડેંગ્યુનો એક-એક કેસ મળ્યો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૭૨૦, તાવના ૩૫૮, ઝાડા-ઊલટીના ૨૧૭ અને ટાઈફોઈડનો એક દર્દી નોંધાયો છે.