રાજકોટ–જેતપુર હાઇવે મુદ્દે કોંગ્રેસનું અલ્ટિમેટમ: ચોમાસા પહેલા કામ કરો
-તમામ જોખમી પોઈન્ટોનું સમારકામ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટી વ્યવસ્થા મજબૂત કરવાની માંગ
-વાહનચાલકોની સહનશક્તિની પણ એક મર્યાદા હોય છે: ચોમાસા પહેલા હાઇવે સુધારો, નહીં તો રસ્તા પર ઉતરશે કોંગ્રેસ
રાજકોટ–જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક, રોડ સલામતી અને માર્ગ સુવિધા સંબંધિત ગંભીર સમસ્યાઓને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે અને કોંગ્રેસના ડેલીગેશને આજે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિસ્તૃત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે રાજકોટ–જેતપુર હાઇવે સમગ્ર સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન ધોરી માર્ગ છે. આ માર્ગ પર દરરોજ હજારો વાહનો, ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલ માલવહન, પ્રવાસન ક્ષેત્ર તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. હાઇવેના નિર્માણ માટે આપવામાં આવેલી મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાના બે વર્ષનો સમય આપવામાં આવ્યો હોવા છતાં કામગીરી હજુ અધૂરી છે, જેના કારણે સૌરાષ્ટ્રના વિકાસ, વેપાર-ઉદ્યોગ, પરિવહન અને સામાન્ય જનજીવનને સીધી અસર થઈ રહી છે.
આ પણ વાંચો: AI એ Opendoorનાં 250 કર્મચારીઓની નોકરી છીનવી
રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી ગયા વર્ષ દરમિયાન જ્યાં જ્યાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી મૂલ્યાંકન કરવામાં આવે અને ચોમાસા પૂર્વે અસરકારક ઉકેલ અમલમાં મૂકવામાં આવે. હાઇવે પર ચાલતી ઓવરબ્રિજ, અંડરપાસ તથા અન્ય બાંધકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર જે સર્વિસ રોડ પરથી પસાર થાય છે તે તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મજબૂતીકરણ, ખાડા પુરવાની કામગીરી, પાણી નિકાલ વ્યવસ્થા તથા જરૂરી સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે વાહનચાલકોને હાઇવે પર સર્જાતી સમસ્યાઓ અંગે તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે તે માટે ટોલ-ફ્રી હેલ્પલાઇન શરૂ કરવાની તથા તેના નંબર હાઇવે પર મોટા બેનરો અને સૂચક બોર્ડ મારફતે જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
રજૂઆતમાં માર્ગ સલામતીના મુદ્દાને વિશેષ મહત્વ આપતા જણાવાયું છે કે NHAIના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માર્કિંગ, બેરિકેડિંગ, કૅટ આઈ સહિતના તમામ રોડ સેફ્ટી સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટાડી શકાય.એમ્બ્યુલન્સોને અવરોધમુક્ત માર્ગ મળી રહે તે માટે વિશેષ ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ પણ કરવામાં આવી છે.
હાઇવે પર આવેલા બંને ટોલ પ્લાઝાઓના સંચાલકોને પણ નિયમોનું કડક પાલન કરાવવા રજૂઆતમાં માંગ કરવામાં આવી છે. અંતમા ડેલિગેશને NHAIને આગામી 10થી 15 દિવસની અંદર સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા, કરવામાં આવેલી કામગીરીનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવા અને સૌરાષ્ટ્રની જીવનદોરી સમાન રાજકોટ–જેતપુર હાઇવેને સુરક્ષિત, સુવિધાસભર અને ટ્રાફિકમુક્ત બનાવવા તાત્કાલિક અસરકારક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.
આ રજૂઆતમા કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત,યુવા કોંગ્રેસના અમિત ચૌધરી,યશ ભીંડોરા,પ્રશીલ રાજદેવ,રોનક રવૈયા ,યશ ઉનડકટ જોડાયા હતા.
અંતમા કોંગ્રેસ નેતાએ એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે ગયા વર્ષ જેવી આ ચોમાસામા વાહનચાલકોને હાલાકી પડશે તો નેશનલ હાઇવેની રાજકોટ સ્થિત ઓફિસ પર જ ધરણા કરાશે અને મોટું આંદોલન પણ કરવામા આવશે.
