ટીએમસીના બળવાખોર 19 સાંસદોમાં સાયોની ઘોષ અને યુસુફ પઠાણ સામેલ
ભાજપમાં નહીં જોડાય, પરંતુ સંસદમાં અલગ જૂથ તરીકે કામ કરવાની જાહેરાત; પશ્ચિમ બંગાળના હિતોની લડત ચાલુ રાખવાનો દાવો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં ઊભા થયેલા આંતરિક વાવાઝોડાએ હવે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. લોકસભાના અધ્યક્ષને મોકલાયેલા અને હવે જાહેર થયેલા એક પત્રે પાર્ટીમાં ઊભેલા વિભાજનને ખુલ્લેઆમ સામે લાવી દીધું છે. 18 મેના રોજ મોકલાયેલા આ પત્રમાં ટીએમસીના 19 લોકસભા સભ્યોએ અલગ સંસદીય જૂથ રચવાના નિર્ણયને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે.
આ બળવાખોર સાંસદોનો દાવો છે કે તેઓ જ “વાસ્તવિક તૃણમૂલ કોંગ્રેસ”નું પ્રતિનિધિત્વ કરે છે અને આગામી સમયમાં પક્ષના ચૂંટણી ચિહ્ન ઉપર પણ પોતાનો દાવો રજૂ કરી શકે છે. આ ઘટનાક્રમ બાદ લોકસભામાં ટીએમસીના કુલ 28 સાંસદોમાંથી માત્ર નવ સાંસદો જ મમતા બેનરજીના કેમ્પમાં હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ભ્રામક જાહેરાત કેસમાં સલમાન ખાનને રાહત
બળવાખોર જૂથે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ કે એનડીએમાં સામેલ થવાના નથી, પરંતુ સંસદમાં સ્વતંત્ર જૂથ તરીકે કાર્ય કરશે. તેમ છતાં સંસદમાં આવનારા મહિલા અનામત બિલ અને સીમાંકન (ડિલિમિટેશન) બિલ જેવા મુદ્દાઓ ઉપર તેમનો અભિગમ કેન્દ્ર સરકાર માટે મહત્વનો બની શકે છે.
આ સમગ્ર મામલામાં પત્રની તારીખ પણ મહત્વની માનવામાં આવી રહી છે. બળવાખોર સાંસદોનો પત્ર 18 મેનો છે, જ્યારે પાર્ટીએ 19 મેના રોજ કલ્યાણ બેનરજીને લોકસભામાં મુખ્ય દંડક (ચીફ વ્હિપ) તરીકે નિયુક્ત કર્યા હતા. તેથી હવે લોકસભાના અધ્યક્ષ સમક્ષ એ પ્રશ્ન ઊભો થયો છે કે આ જૂથને નિયમો અનુસાર અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા આપી શકાય કે નહીં. હવે સૌની નજર લોકસભાના અધ્યક્ષ અને ચૂંટણી પંચના આગામી નિર્ણય ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે, કારણ કે એ જ નિર્ણય ટીએમસીના ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે.
કોણે કોણે કરી છે સહી?
બળવાખોર જૂથના પત્ર ઉપર કાકોલી ઘોષ દસ્તીદાર, શતાબ્દી રોય, બાપી હલદાર, ડૉ. શર્મિલા સરકાર, પ્રસૂન બંદ્યોપાધ્યાય, જગદીશ બર્મા બસુનિયા, અસિત કુમાર માલ, અરુપ ચક્રવર્તી, રચના બેનરજી, સાયોની ઘોષ, ખલીલુર રહેમાન, અબુ તાહેર ખાન, યુસુફ પઠાણ, મિતાલી બાગ, માલા રોય, કાલીપદા સોરેન, દીપક અધિકારી, જૂન માલિયા અને પાર્થ ભૌમિકના હસ્તાક્ષર હોવાનું જણાવવામાં આવ્યું છે.
મમતા સાથે હાલ કેટલા સાંસદ?
બળવાખોર કેમ્પમાં 19 સાંસદો સામેલ થતાં મમતા બેનરજી સાથે લોકસભામાં માત્ર નવ સાંસદો જ રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ જૂથમાં અભિષેક બેનરજી, સૌગત રોય, મહુઆ મોઇત્રા, કલ્યાણ બેનરજી, કીર્તિ આઝાદ, પ્રતિમા મોંડલ, સાજદા અહેમદ, સુદીપ બંદ્યોપાધ્યાય અને શત્રુઘ્ન સિંહાનો સમાવેશ થાય છે. શત્રુઘ્ન સિંહાએ જાહેરમાં મમતા પ્રત્યેની પોતાની વફાદારીનો પુનરોચ્ચાર પણ કર્યો છે.
કાનૂની જંગના એંધાણ, સ્પીકરના નિર્ણય પર સૌની મીટ
બળવાખોર સાંસદો હવે ચૂંટણી પંચ સમક્ષ ટીએમસીના ચૂંટણી ચિહ્ન ઉપર દાવો રજૂ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તેમનો તર્ક છે કે સંસદમાં બહુમતી સાંસદો તેમની સાથે હોવાથી તેઓ જ પક્ષના સાચા વારસદાર છે. બીજી તરફ મમતા બેનરજીનું જૂથ આ દાવાને પડકારવા તૈયાર છે. ચૂંટણી પંચ જે પક્ષમાં નિર્ણય આપે તેની સામે વિરોધી જૂથ સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારીમાં હોવાનું કહેવાય છે. તે પહેલાં લોકસભાના અધ્યક્ષ બળવાખોરોને અલગ સંસદીય જૂથ તરીકે માન્યતા આપે છે કે નહીં તે અત્યંત નિર્ણાયક સાબિત થશે. સમગ્ર રાજકીય અને કાનૂની લડાઈ હવે સ્પીકર તથા ચૂંટણી પંચના નિર્ણય પર નિર્ભર બની ગઈ છે.
