માતૃભૂમિ અને પ્રેમ માટે દેવોથી લઈને દાનવો સુધી લડતો યોદ્ધો!
આજે ક્રિસ્ટોફર નોલાનની મહત્વાકાંક્ષી ફિલ્મ ‘ઓડિસી’ (Odyssey) રિલીઝ થઈ ગઈ છે. આ ગ્રીક મહાકાવ્યની અસલી વાર્તા શું છે? હોમર દ્વારા લખાયેલી આ કથા માનવ ઇતિહાસની સૌપ્રથમ ‘એડવેન્ચર થ્રિલર’ છે. તેમાં એવો રોમાંચ અને વિરહની વેદના છે, જેણે છેલ્લાં અઢી હજાર વર્ષથી પશ્ચિમના સાહિત્ય, સિનેમા અને કળાનો પાયો ઘડ્યો છે. એક યોદ્ધાનો દસ વર્ષ લાંબો યુદ્ધ-પ્રવાસ અને બીજા દસ વર્ષ લાંબો સમુદ્ર-પ્રવાસ!
દુનિયાની કોઈપણ આધુનિક એડવેન્ચર ફિલ્મ ઉઠાવી લો, તેનો પાયો આ એક જ પુસ્તકમાં રહેલો છે. ‘ઓડિસી’ ની વાર્તા ત્યાંથી શરૂ થાય છે જ્યાં ગ્રીક ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ—ટ્રોયનું યુદ્ધ (Trojan War)—પૂરું થાય છે. દસ-દસ વર્ષ સુધી ચાલેલા આ લોહિયાળ યુદ્ધનો અંત લાવનાર માસ્ટરમાઇન્ડ હતો ‘ઇથાકા’ (Ithaca) રાજ્યનો રાજા અને આપણો હીરો: ઓડિસિયસ. લાકડાના વિશાળ ઘોડા (ટ્રોજન હોર્સ) ની અંદર સૈનિકો છુપાવીને ટ્રોયના અજેય કિલ્લાને ભેદવાની વ્યૂહરચના ઓડિસિયસની જ હતી. યુદ્ધ જીતી લીધા પછી હવે ઓડિસિયસને માત્ર એક જ ઈચ્છા છે: પોતાની વહાલી પત્ની પેનેલોપ અને યુવાન દીકરા ટેલિમેકસ પાસે પોતાના વતન પાછા ફરવાની. પણ તેને ખબર નહોતી કે ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી!
આ પણ વાંચો: જાપાન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં સિંધુની એન્ટ્રી
સમુદ્રના દેવતાનો પ્રકોપ અને ભયાનક સફર
ઇથાકા પાછા ફરવાનો રસ્તો સમુદ્ર માર્ગે માંડ થોડા અઠવાડિયાનો હતો, પરંતુ ઓડિસિયસથી એક મોટી ભૂલ થઈ જાય છે. રસ્તામાં તે સમુદ્રના દેવતા ‘પોસાઇડન’ ના દીકરા—પોલીફેમસ નામના એક આંખવાળા રાક્ષસ (Cyclops)—ને અંધ કરીને તેની ગુફામાંથી ભાગી છૂટે છે. પોતાના દીકરાની આ હાલત જોઈને સમુદ્રદેવ પોસાઇડન કોપાયમાન થાય છે અને ઓડિસિયસને શ્રાપ આપે છે કે તે ક્યારેય સહીસલામત ઘરે નહીં પહોંચી શકે.
અહીંથી શરૂ થાય છે મહાસાગરમાં મોત સાથેની સંતાકૂકડી! ઓડિસિયસ અને તેના સાથીઓ ભયાનક જાદુગરો, નરભક્ષી રાક્ષસો અને છ માથાવાળા ‘સ્કાયલા’ (Scylla) નામના દરિયાઈ દાનવનો સામનો કરે છે. એક અત્યંત રસપ્રદ પ્રસંગ ‘સાયરન્સ’ (Sirens) નો આવે છે. આ એવી જળપરીઓ હતી જેનો અવાજ એટલો મધુર હતો કે તે સાંભળીને નાવિકો પાગલ થઈને દરિયામાં કૂદી પડતા અને મોતને ભેટતા. ઓડિસિયસે પોતાના તમામ સાથીઓના કાનમાં મીણ ભરાવી દીધું અને પોતાની જાતને વહાણના સ્તંભ (Mast) સાથે દોરડાથી કસીને બાંધી દીધી જેથી તે મોતને આમંત્રણ આપતું એ સંગીત સાંભળી શકે પણ કૂદી ન શકે! ઓડિસિયસની તાકાત તેના સ્નાયુઓ નહોતા, પણ તેનું ‘શિયાળ’ જેવું ચાલાક મગજ હતું.
રામાયણ સાથેનું અદભુત સામ્ય: પ્રતીક્ષા અને પતિવ્રતાની કસોટી
ભારતીય વાચકો માટે ‘ઓડિસી’ નબહુ અજાણી નહીં રહે. કારણ કે વાર્તાતત્વનું પોત પોતીકું છે. જ્યારે આપણે ઓડિસિયસની પડકારસભર યાત્રાને જોઈએ છીએ, ત્યારે આપણને ભગવાન રામનો ચૌદ વર્ષનો વનવાસ અને સીતા માતાની શોધમાં તેમણે દરિયો પાર કરીને કરેલો સંઘર્ષ યાદ આવી જાય એ સ્વાભાવિક છે.
જેમ અયોધ્યામાં ભરત અને લંકામાં સીતાજી મક્કમતાથી રાહ જોતા હતા, બરાબર એવું જ ઇથાકામાં થઈ રહ્યું હતું. ઓડિસિયસને ગયે ૨૦ વર્ષ થઈ ગયા હતા (૧૦ વર્ષ યુદ્ધના અને ૧૦ વર્ષ સમુદ્રના ભ્રમણના). આસપાસના રાજ્યોના ૧૦૮ જેટલા સ્વાર્થી અને લાલચુ રાજકુમારો ઓડિસિયસના મહેલમાં અડ્ડો જમાવીને બેઠા હતા. તેઓ માનતા હતા કે ઓડિસિયસ મરી ગયો છે, એટલે તેઓ પેનેલોપને પોતાની સાથે લગ્ન કરવા મજબૂર કરતા હતા. પણ પેનેલોપ સીતા માતા જેવી જ અખંડ પતિવ્રતા સ્ત્રી હતી. તેણે શરત રાખી હતી કે તે પોતાના સસરા માટે કફન વણી રહી છે, એ વણાટકામ પૂરું થશે એટલે તે લગ્નનો નિર્ણય લેશે. દિવસે તે વણાટ કરતી અને રાત્રે છૂપી રીતે એ આખું વણાટ ઉકેલી નાખતી! આમ તેણે વર્ષો સુધી કપટી રાજાઓને મૂર્ખ બનાવીને પોતાના પતિના સિંહાસન અને ચારિત્ર્યની રક્ષા કરી.
શિવ-ધનુષ જેવો ક્લાઈમેક્સ: ભિખારીના વેશમાં પાછો ફરેલો રાજા!
વીસ વર્ષની યાતનાઓ પછી ઓડિસિયસ આખરે એકલો અને ફાટેલા હાલમાં પોતાના રાજ્ય ઇથાકાના કિનારે પહોંચે છે. દેવી એથેનાની મદદથી તે એક ઘરડા ભિખારીનો વેશ ધારણ કરે છે, જેથી કોઈ તેને ઓળખી ન શકે અને તે જાણી શકે કે કોણ વફાદાર છે અને કોણ ગદ્દાર.
અંતિમ અધ્યાયમાં પેનેલોપ એક જાહેરાત કરે છે (જે આપણને સીતા માતાના સ્વયંવરની યાદ અપાવે છે). તે ઓડિસિયસનું અત્યંત ભારે અને કઠોર ધનુષ સભામાં મૂકે છે અને શરત રાખે છે કે, “જે કોઈ પણ આ ધનુષ પર પ્રત્યંચા ચડાવીને એકસાથે ૧૨ કુહાડીઓના કાણાંમાંથી તીર પસાર કરી દેશે, હું તેની સાથે લગ્ન કરીશ.” બધા જ અહંકારી રાજાઓ એક પછી એક જોર લગાવે છે, પણ કોઈ ધનુષની દોરી ખેંચી શકતું નથી. આખરે પેલો ‘ઘરડો ભિખારી’ આગળ આવે છે. લોકો તેની મજાક ઉડાવે છે, પણ તે સહજતાથી ધનુષ ઉપાડીને તેના પર પ્રત્યંચા ચડાવે છે અને એક જ ઝાટકે તીરને ૧૨ કુહાડીઓની આરપાર કાઢી નાખે છે! આ એ જ ક્ષણ હતી જ્યાં સીતા સ્વયંવરમાં રામ દ્વારા શિવ-ધનુષ તૂટવાનો અહેસાસ થાય છે.
તે પછી ઓડિસિયસ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરે છે અને પોતાના દીકરા સાથે મળીને મહેલમાં રહેલા તમામ ૧૦૮ ગદ્દારોનો ભયાનક ખાતમો બોલાવે છે. વર્ષોના વિરહ પછી એક પતિ અને પત્નીનું મિલન થાય છે, અને ઓડિસી મહાકાવ્ય પૂર્ણ થાય છે.
અંગ્રેજી ડિક્શનરીમાં ‘Odyssey’ શબ્દનો અર્થ જ ‘એક લાંબી, રોમાંચક અને સંઘર્ષપૂર્ણ સફર’ એવો થાય છે. હોમરનું આ મહાકાવ્ય માત્ર એક ગ્રીક માયથોલોજી નથી, પણ તે માનવ મનોવિજ્ઞાનનો દસ્તાવેજ છે. તે આપણને શીખવે છે કે ગમે તેટલા તોફાનો આવે, ગમે તેટલા દાનવો રસ્તો રોકે, પણ જો તમારા હૃદયમાં તમારા ‘ઘર’ માટેનો પ્રેમ સાચો હશે, તો કોઈ જાદુ કે કોઈ શ્રાપ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતા રોકી શકશે નહીં. આજે કે ગમે ત્યારે જો તમે આ કથાને સ્ક્રીન પર જુઓ, ત્યારે તેના ભવ્ય સેટ્સ અને ગ્રાફિક્સની પાછળ રહેલા આ અઢી હજાર વર્ષ જૂની વાર્તા અને તેની આત્માની અનુભૂતિ કરવાની કોશિશ કરજો.
‘ઓડિસી’ ની આધુનિક દુનિયા પર અસર
હોલીવુડનો અદ્રશ્ય પાયો: માર્વેલ સિનેમેટિક યુનિવર્સ હોય, ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ હોય કે ‘ઇન્ટરસ્ટેલર’ જેવી સાયન્સ ફિક્શન ફિલ્મ હોય—જો કોઈ હીરો લાંબી યાત્રાએ નીકળે છે, રાક્ષસો/દૈત્યોનો સામનો કરે છે અને અંતે બદલાયેલા સ્વરૂપ સાથે ઘરે પાછો ફરે છે, તો તે ફિલ્મની સ્ક્રિપ્ટમાં ક્યાંક ને ક્યાંક ‘ઓડિસી’ નો પ્રભાવ રહેલો જ છે. ‘ધ હંગર ગેમ્સ’ પણ આ જ મોડેલ પર આધારિત છે.
ટ્રોજન હોર્સ વાયરસ: કોમ્પ્યુટરમાં જે ‘Trojan’ વાયરસ ઘૂસી જાય છે, તેનું નામ ઓડિસિયસના લાકડાના ઘોડા પરથી જ પડ્યું છે—જે અંદરથી સુરક્ષિત દેખાય છે, પણ ખરેખર સિસ્ટમને બરબાદ કરી નાખે છે.
મેન્ટર (Mentor): આજે આપણે કોઈપણ માર્ગદર્શક કે ગુરુને અંગ્રેજીમાં ‘Mentor’ કહીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે મેન્ટર એ ‘ઓડિસી’ મહાકાવ્યનું એક પાત્ર હતું! ઓડિસિયસ જ્યારે યુદ્ધમાં જાય છે, ત્યારે પોતાના રાજ્ય અને દીકરાને સાચવવાની જવાબદારી તેના એક ભરોસાપાત્ર મિત્રને સોંપે છે, જેનું નામ ‘મેન્ટર’ હતું. ત્યાંથી આ શબ્દ દુનિયાભરના ડિક્શનરીનો હિસ્સો બની ગયો.
