વાંગચૂકને બચાવવા જરૂરી હોય એ બધા જ પગલાં લેવા દિલ્હી હાઇકોર્ટની સૂચના
19મા દિવસે પણ અનિશ્ચિત ઉપવાસ યથાવત; રોજ સરકારી ડૉક્ટરો દ્વારા આરોગ્ય તપાસ કરાવવાનો પણ આદેશ
અનિશ્ચિત ઉપવાસના 19મા દિવસે પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકના આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હી હાઇકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને તેમનો જીવ બચાવવા જરૂરી હોય તેવા તમામ તબીબી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક નાગરિકનું જીવન અમૂલ્ય છે અને તેને બચાવવા માટે સત્તાવાળાઓએ તમામ પ્રયાસો કરવા જ જોઈએ.
કોર્ટે આ આદેશ એક એવી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જો ઉપવાસ ન તોડે તો 59 વર્ષીય વાંગચૂક આગામી 48 કલાકમાં ગંભીર જોખમમાં આવી શકે છે અરજીમાં સરકાર પર તેમની સ્થિતિ પ્રત્યે અસંવેદનશીલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અરજીમાં વાંગચૂકે અત્યાર સુધીમાં આશરે 8.5 કિલોગ્રામ વજન ગુમાવ્યું હોવાનું જણાવી તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડી જરૂરી પોષક તત્ત્વો, વિટામિન અને મિનરલ્સ પ્રવાહી આહારના સ્વરૂપમાં આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. અરજીમાં એ પણ જણાવાયું હતું કે શાંતિપૂર્ણ વિરોધ કરવો નાગરિકનો મૂળભૂત લોકશાહી અધિકાર છે, પરંતુ જો વાંગચૂકનું ઉપવાસ દરમિયાન મૃત્યુ થાય તો તે દેશ અને વિશ્વ માટે શરમજનક ઘટના ગણાશે.
આ પણ વાંચો: રઘુરામ રાજનના અમેરિકામાં ડંકા: સરકારે ફુગાવો કાબૂમાં રાખવાની જવાબદારી સોંપી
સુનાવણી દરમિયાન કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે વાંગચૂકના આરોગ્યની નિયમિત દેખરેખ માટે સરકાર તરફથી શું વ્યવસ્થા કરવામાં આવી છે. તેના જવાબમાં મહેતાએ જણાવ્યું હતું કે દરરોજ તેમની તબીબી તપાસ કરવામાં આવે છે, જોકે દરેક વખતે સરકારી ડૉક્ટરો જ તપાસ કરતા નથી અને કેટલીક વખત ખાનગી ડૉક્ટરો પણ તપાસ કરે છે.
આ જવાબથી અસંતોષ વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું કે વાંગચૂકની દરરોજ સરકારી ડૉક્ટરો દ્વારા આરોગ્ય તપાસ થવી જોઈએ અને તેમના રિપોર્ટના આધારે જો કોઈ દવા કે અન્ય તબીબી હસ્તક્ષેપ જરૂરી હોય તો સરકાર તરત કાર્યવાહી કરે. કોર્ટે ફરી ભારપૂર્વક કહ્યું કે દરેક જીવન કિંમતી છે અને તેને બચાવવા માટે જરૂરી તમામ પ્રયાસો થવા જોઈએ.
“ઉપવાસ નહીં તોડું, લોકો 20 જુલાઈએ મોટી સંખ્યામાં જોડાય”: વાંગચૂક
દિલ્હી હાઇકોર્ટના આદેશ પહેલાં સોનમ વાંગચૂકે એક ભાવુક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે લાંબા ઉપવાસને કારણે શરીરમાં નબળાઈ આવી છે અને સ્નાયુઓ થાકી રહ્યા છે, પરંતુ તેમની સ્થિતિ હજુ નિયંત્રણમાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યા વિના તેઓ ઉપવાસ સમાપ્ત કરશે નહીં, કારણ કે તેનાથી ખોટો સંદેશ જશે. વાંગચૂકે લોકોને 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાનારા વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે આ મુદ્દો સાંસદો સુધી પહોંચશે ત્યારે જ તેમને લાગશે કે તેમની લડત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. સાથે જ તેમણે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને પણ આ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી.
