ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું એલાન : ટ્રમ્પની દરમિયાનગીરી બાદ બંને દેશોના DGMOએ લીધો નિર્ણય
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે 15:35 વાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો.’ તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો ભારતીય સમય મુજબ સાંજે 5:00 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. આજે બંને પક્ષોને આ કરારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. 12 મેના રોજ 12:00 વાગ્યે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ફરી વાત કરશે.
આ પહેલા, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી થયેલા વાટાઘાટો બાદ ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે સોશિયલ પર એક પોસ્ટમાં જાહેરાત કરી, ‘યુએસ-દલાલીથી આખી રાત ચાલેલી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વિદેશ મંત્રી એસ જયશંકર, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક દાર અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી છે.
PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે ‘છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપ પ્રમુખ જે. ડી. વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરાઈ છે. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે રાજી થયા છે.’