India-Pakistan Ceasefire : ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામ લાગુ ! વિદેશમંત્રી જયશંકરે કહ્યું, આતંકવાદ સામે કાર્યવાહી ચાલુ રહેશે
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની મધ્યસ્થી બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વિટ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત ડ્રોન હુમલા, ગોળીબાર અને તણાવપૂર્ણ પરિસ્થિતિઓ ચાલી રહી હતી, જેના કારણે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી ગઈ હતી ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ માહિતી આપી હતી. “ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. ભારતે આતંકવાદ સામે તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે સતત મક્કમ અને અડગ વલણ જાળવી રાખ્યું છે. ભારત આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે,” તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું.
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે 15:35 વાગ્યે ભારતીય DGMO ને ફોન કર્યો.’ તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો ભારતીય સમય મુજબ સાંજે 5:00 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે. આજે બંને પક્ષોને આ કરારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. 12 મેના રોજ 12:00 વાગ્યે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ફરી વાત કરશે.
ભારતીય વિદેશ સચિવે કહ્યું- 12 મેના રોજ બંને દેશો વચ્ચે ફરી વાતચીત થશે
દરમિયાન, ભારતીય વિદેશ સચિવ વિક્રમએ આ માહિતી આપી છે. બંને દેશોના ડીજીએમઓ (ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ) વચ્ચેની વાતચીત બાદ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. વિક્રમ મિશ્રીએ માહિતી આપી હતી કે બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાત કરશે.
કોઈપણ આતંકવાદી હુમલાને યુદ્ધ તરીકે ગણવામાં આવશે: ભારત સરકાર
અગાઉ, ભારત સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં તેની ધરતી પર કોઈપણ આતંકવાદી હુમલાને ભારત સામે યુદ્ધ તરીકે ગણવામાં આવશે અને તે મુજબ જવાબ આપવામાં આવશે.