દ્વારકા, જામનગર, ઓખામાં સાંજે 7 વાગ્યાથી બ્લેકઆઉટ : દ્વારકાધીશનું મંદિર સાંજે 7 પછી રહેશે બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે ત્યારે કચ્છ પછી હવે દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને રોજગાર-ધંધા બંધ કરી ઘરે રહેવા અને ઘરની બહાર જરૂર ન હોય તો ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં સેનાની ત્રણેય વિંગના બેઝ છે.
દ્વારકા મંદિર સાંજે 7 વાગ્યા પછી બંધ
જગત મંદિર દ્વારકા જે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જગપ્રસિદ્ધ દ્વારકાધીશનું મંદિર દર્શનાર્થીઓ માટે સાંજે 7 વાગ્યાથી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પુજારી દ્વારા સેવા પૂજા ચાલુ રહેશે તેવી ચોખવટ પણ કરવામાં આવી છે. દ્વારકા અને ઓખામાં પણ બ્લેક આઉટ કરાયો હતો.
જામનગરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન બજારો બંધ રહી હતી. શોપિંગ મોલ પણ ખાલી કરાવવામાં આવ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, ‘તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારના પડકારને પહોંચી વળવા સક્ષમ છે.
કચ્છ જિલ્લામાં એલર્ટ જાહેર
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા વીડિયો જાહેર કરીને નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને રાત્રિ દરમિયાન પણ સ્વયંભૂ બ્લેકઆઉટનું સંપૂર્ણપણે પાલન કરવા જણાવ્યું છે. જ્યારે તણાવની સ્થિતિમાં નાગરિકોને ગભરાવ્યા વગર સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.