સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં આરોપીને ૨૦ વર્ષની સજા
શહેરમાં ૧૫ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં અદાલતે આરોપી અભિષેક ડુંભરેલાને
તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સજા તેમજ તેમજ ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મૂળ સાવરકુંડલાના વતની અને રાજકોટમાં રહેતા પરિવારની ૧૬ વર્ષની સગીરાને પાડોશમાં રહેતા અમરેલીના અભિષેક દિપકભાઈ ડુંભરેલા નામના શખ્સે તા.૧૧/૦૩/૨૦૨૨ના રોજ લલચાવી ફોસલાવી અપહરણ કરી અમરેલી લઈ ગયો હતો. જ્યાં આશરે નવ દિવસ સુધી ત્યાં રાખી દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર સગીરાના પિતાએ યુનીવર્સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને આરોપી સામે પુરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
ચાર્જશીટ બાદ કેસ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરીયાદ પક્ષ તરફથી ભોગબનનાર, ફરીયાદી, ડોકટરો, પંચ વીટનેસો અને પોલીસ વીટનેસો વિગેરેને રજુ રાખ્યા હતા.આ ઉપરાંત બંને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપી અભિષેક દિપકભાઈ ડુંભરેલાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને દંડ તેમજ ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર જોષી રોકાયા હતા.