જામનગરમાં સ્કૂલબેગમાંથી ફોન પકડાતા, પરિવારના ડરના કારણે તરૂણીએ ફાંસો ખાઈ આપઘાત
આજકાલના યુવાનો અને તરુણો માટે આપઘાત તો જાણે સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી આપઘાત કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ બનાવ જામનગરમાં સામે આવ્યો છે. સ્કૂલમાં ચેકિંગ દરમિયાન બેગમાંથી ફોન મળ્યા બાદ વિદ્યાર્થીની એ જીવનનો અંત લાવી દીધો હતો. બેગમાંથી મોબાઈલ મળ્યા બાદ ગુમસુમ રહેતી હતી ત્યારે 15 વર્ષની તરૂણીએ ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ છે. ત્યારે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જિલ્લાના હાપાની છે જ્યાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. જવાહરનગર રામદેવજી પીરના મંદીર પાસે રહેતી દીક્ષીતાબેન રમેશભાઈ સોયગામા નામની ધોરણ 9ની વિદ્યાર્થીની સ્કુલે ગઈ હતી. તેણીના સ્કુલ બેગમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી તેણીએ શિક્ષકને કહ્યું હતું કે, તમો મારા પિતા તથા મારી દાદીને આ બાબતની જાણ ન કરતા તે મને મારશે. જે બાદ તેણી ગુમસુમ રહેતી હતી.
સ્કૂલમાં ચેકિંગ દરમિયાન મોબાઈલ મળી આવતા અને એ બાબતનું તેણીને મનમાં લાગી આવતા ગત તારીખ 22ના રોજ સાંજના સાડા 6 વાગ્યાના આસપાસ ઘરે ઓસરીમાં સાડી લોખંડના એંગલમાં બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ થતાં વિદ્યાર્થીનીના પિતા રમેશભાઈ વાલજીભાઈ સોયગામાએ પોલીસમાં જાહેર કરતા પ્રોબેશનલ PSI અનિલસિંહ પરમારે મૃતદેહનો કબજો સંભાળીને પીએમ માટે મોકલી દઈને વધુ તપાસ હાથ ધરી છે.