આરોપીની પૂછપરછ દરમિયાન વકીલ,સતત હાજર રહી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
આરોપીને પૂછપરછ દરમિયાન વકીલને મળવાનો અધિકાર છે, પરંતુ સમગ્ર પૂછપરછ દરમિયાન વકીલની સતત શારીરિક હાજરીનો હક નથી
આરોપીની પોલીસ પૂછપરછ દરમિયાન તેના વકીલને સતત હાજર રહેવાનો અધિકાર નથી, પરંતુ પૂછપરછ દરમિયાન આરોપી પોતાના પસંદગીના વકીલને મળી શકે છે, તેવી મહત્વપૂર્ણ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023ની કલમ:38 આરોપીને પૂછપરછ દરમિયાન પોતાના વકીલને મળવાનો અધિકાર આપે છે, પરંતુ દરેક પૂછપરછ સત્ર દરમિયાન વકીલની સતત શારીરિક હાજરીની જોગવાઈ કરતી નથી.
કોર્ટે આંધ્ર પ્રદેશ સરકારની અપીલ પર સુનાવણી કરતાં આ નિર્ણય આપ્યો હતો. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આરોપીની પોલીસ કસ્ટડી દરમિયાન જેલમાં બે વકીલો નિમવા અને પૂછપરછ દરમિયાન કોઈપણ સમયે એક વકીલને હાજર રહેવાની મંજૂરી આપતી શરત મૂકી હતી. રાજ્ય સરકારે એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારી, દલીલ કરી હતી કે આવી શરત તપાસમાં અવરોધરૂપ બને છે અને પોલીસની કસ્ટોડિયલ તપાસને અસર કરે છે.
જસ્ટિસ સંદીપ મહેતાએ લખેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજ્યની દલીલને યોગ્ય ગણાવી હતી. કોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટ દ્વારા મૂકાયેલી શરત BNSSની કલમ:38ની મર્યાદાથી આગળ જાય છે. જો પૂછપરછ દરમિયાન કોઈપણ સમયે વકીલની હાજરીને સતત અને બિનશરતી અધિકાર તરીકે અર્થઘટન કરવામાં આવે તો તે કાયદાની જોગવાઈને વટાવી જાય છે.
તેમ છતાં, સુપ્રીમ કોર્ટે વકીલની હાજરી સંબંધિત શરત સંપૂર્ણપણે રદ કરી નહોતી. તેમાં ફેરફાર કરતાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે આરોપીનો વકીલ પૂછપરછના સ્થળે એવી જગ્યાએ હાજર રહી શકશે જ્યાંથી તે આરોપીને જોઈ શકે, પરંતુ પૂછપરછમાં સીધો ભાગ લઈ શકશે નહીં અથવા સમગ્ર સમય આરોપી સાથે બેસી શકશે નહીં.
