‘નમો ગ્રીન રેલ’: 110 Km સ્પીડ, ઝીરો પ્રદૂષણ અને 2600 મુસાફરોની ક્ષમતા ધરાવતી ટ્રેનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
ભારતીય રેલવેના ઇતિહાસમાં આજે નવો સુવર્ણ અધ્યાય લખાયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલવે જંક્શનથી દેશની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન સંચાલિત ટ્રેન “નમો ગ્રીન રેલ”ને લીલી ઝંડી આપીને રવાના કરી. જીંદથી સોનીપતના 89 કિમીના રૂટ પર દોડનારી આ પ્રદૂષણમુક્ત ટ્રેન સાથે ભારત હવે જર્મની, જાપાન, ચીન અને અમેરિકા જેવા હાઇડ્રોજન ટેક્નોલોજી ધરાવતા દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. આ ટ્રેનમાંથી ધુમાડો નહીં, માત્ર પાણીની વરાળ નીકળશે.
ક્યાં દોડશે અને કેટલી ક્ષમતા?
આ હાઇડ્રોજન ટ્રેન ઉત્તર રેલવેના જીંદ – સોનીપત રૂટ પર દોડશે.
– રૂટ: જીંદ જંક્શન → ગોહાના જંક્શન → સોનીપત
– અંતર: 89 કિલોમીટર
– મહત્વના હોલ્ટ: જીંદ સિટી, પાંડુ પિંડારા, લલિત ખેડા, ભંભેવા, ઇસાપુર ખેડી, બુટાના, ખંદરાઈ, રભડા, લાઠ, મોહાના, બરવાસની અને સોનીપત ન્યૂ
– ક્ષમતા: 10 ડબ્બાની આ ટ્રેન એકસાથે 2,600 મુસાફરોને લઈ જઈ શકશે
– સ્પીડ: ઓપરેટિંગ સ્પીડ 75 Kmph, મહત્તમ ડિઝાઇન સ્પીડ 110 Kmph
પાણીની વરાળથી કેવી રીતે દોડે છે? – હાઇડ્રોજન ટેક્નોલોજી
આ ટ્રેન પરંપરાગત ડીઝલ એન્જિનથી તદ્દન અલગ છે.
– ટેક્નોલોજી: ટ્રેનમાં પ્રોટોન એક્સચેન્જ મેમ્બ્રેન ફ્યુઅલ સેલ (PEMFC) લગાવવામાં આવ્યું છે.
– કામ: ટ્રેનની અંદર જ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કેમિકલ રિએક્શન થાય છે અને તેમાંથી સીધી વીજળી બને છે. તે વીજળીથી ટ્રેનના મોટર ચાલે છે.
– બાયપ્રોડક્ટ: ધુમાડો કે હાનિકારક ગેસ નહીં, પરંતુ માત્ર પાણીની વરાળ અને ગરમી બહાર નીકળે છે. એટલે 100% પ્રદૂષણમુક્ત.
– પાવર: 1200 kW ની શક્તિશાળી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમ લગાવાઈ છે.
– ઊર્જા: હાઇડ્રોજનની ઊર્જા ક્ષમતા 120 મેગાજૂલ/કિલો છે, જે ડીઝલ 43 મેગાજૂલ/કિલો કરતા લગભગ 3 ગણી વધારે છે. મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછો.
રેલવેએ જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન સ્ટોરેજ અને રિફ્યુઅલિંગની સંપૂર્ણ સુવિધા પણ તૈયાર કરી છે.
શા માટે મહત્વપૂર્ણ છે આ પ્રોજેક્ટ?
PM મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે _”ભારત હવે વિશ્વના એવા ગણતરીના દેશોના જૂથમાં સામેલ થઈ ગયું છે જેમની પાસે આવી આધુનિક ટ્રેનો છે.”_
– પર્યાવરણ: ડીઝલ ટ્રેનનો વિકલ્પ બનીને કાર્બન એમિશન ઘટાડશે.
– લક્ષ્ય: ભારતીય રેલવેના ‘નેટ ઝીરો કાર્બન એમિશન’ ના લક્ષ્યને હાંસલ કરવામાં મદરૂપ.
– પાયલોટ પ્રોજેક્ટ: RDSO ની મંજૂરી બાદ આ પ્રથમ પ્રોજેક્ટ છે. તેના સફળ પરીક્ષણ બાદ ભવિષ્યમાં દેશભરમાં આવી ગ્રીન ટ્રેનો દોડાવવામાં આવશે.
– મુસાફરો માટે: રોજિંદા મુસાફરો માટે ઝડપી, આરામદાયક અને સસ્તી સફરનો વિકલ્પ.
“નમો ગ્રીન રેલ” માત્ર એક ટ્રેન નથી, તે ભારતના ક્લીન એનર્જી મિશનનું પ્રતીક છે. ડીઝલની ઝંઝટ ખતમ કરીને હવે રેલવે ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. સફળ રહેશે તો આવનારા સમયમાં આખા દેશમાં હાઇડ્રોજન ટ્રેનોનું નેટવર્ક જોવા મળશે.
