શાંતિ સમાધાન પર હસ્તાક્ષર પહેલાં ફરી ટ્રમ્પે પલટી મારી
જી-7 સમિટ દરમિયાન ટ્રમ્પે કહ્યું, જો ઇરાન યોગ્ય વ્યવહાર નહીં કરે તો ફરી તેના પર બોમ્બમારો કરશું
બોલીને ફરી ન જાય તો તેને ટ્રમ્પ કેમ કહેવાય… અમેરિકાના પ્રમુખ યુધ્ધ શરૂ થયું ત્યારથી આજ સુધી અનેક વખત બોલીને ફરી ગયા છે. ઈરાન સાથે શાંતિ સમાધાન થઈ ગયું છે અને દુનિયાના બધા જ નેતાઓએ હાશકારો લીધો છે ત્યારે ફરીવાર ટ્રમ્પને સૂરાતન ચડ્યું છે અને તેમણે ફરી ઈરાનને એવી ધમકી આપી દીધી છે કે જો ઈરાન ઉચિત વ્યવહાર નહીં કરે તો અમે ફરી તેના પર બોમ્બમારો કરી દેશું.
ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવા માટે જે એમઓયુ થયું છે તેને અંતિમ સમજૂતિ માની શકાય નહીં તેમ કહીને ટ્રમ્પે ફરવાર પલટી મારી છે. ફ્રાન્સમાં ચાલી રહેલા જી-7 શીખર સંમેલનમાં ટ્રમ્પની આ કોમેન્ટ ફરી ચિંતા જગાવી રહી છે.
એમણે કહ્યું કે, આ સમજૂતિ એક ડ્રાફ્ટ છે, જો મને પસંદ નહીં આવે અને જો ઈરાન અપેક્ષા મુજબનો વ્યવહાર નહીં કરે તો અમે એમના માથાની વચ્ચોવચ્ચ બોમ્બ ફેંકશું. એમનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેન્શન વધારનારું માનવામાં આવી રહ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર થવાના છે તે પહેલાં જ ઈરાન પર ફરીવાર બોમ્બમારો કરવાની ટ્રમ્પની ધમકી નવેસરથી ચિંતા જગાવી રહી છે.
આ પહેલાં એવી જાહેરાત થઈ ચૂકી છે કે, 19મી એટલે કે આવતીકાલે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતિ પર હસ્તાક્ષર થઈ જવાના છે અને તે પહેલાં નવી ગૂંચ ટ્રમ્પે ઉભી કરી દીધી છે. હવે શુક્રવારે શું થાય છે તેના તરફ સૌની નજર રહેશે.
