સામાન્ય માણસને મોટી રાહત : ઈથેનોલવાળા પેટ્રોલ પરથી એક્સાઈઝ ડ્યુટી ગાયબ
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. કેન્દ્રએ 22%થી 30% ઈથેનોલ મિશ્રણ ધરાવતા પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ નિર્ણયથી માત્ર ગ્રાહકોને જ સસ્તું ઈંધણ નહીં મળે, ખેડૂતોને વધારે ભાવ અને તેલ કંપનીઓને રાહત મળશે. સાથે જ દેશની ઊર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના લક્ષ્યને પણ વેગ મળશે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે કાચા તેલની સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને વૈશ્વિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર દબાણ વધ્યું છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે ઈંધણના ભાવને કાબૂમાં રાખવા મોટું પગલું ભર્યું છે. સરકારે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડી E-22, E-25, E-27 અને E-30 શ્રેણીના પેટ્રોલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટી શૂન્ય કરી દીધી છે. એટલે કે હવે 22%થી 30% સુધી ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ પર કોઈ કેન્દ્રીય કર નહીં લાગે.

આ નિર્ણયના ત્રણ મોટા ફાયદા છે. પહેલું, વધુ ઈથેનોલ મિશ્રણથી ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટશે અને પેટ્રોલની માંગ-પુરવઠા વચ્ચે સંતુલન જળવાશે. બીજું, તેલ કંપનીઓનો ખર્ચ ઘટતાં ગ્રાહકોને ભવિષ્યમાં સસ્તું પેટ્રોલ મળવાની શક્યતા વધી છે. E-20 અથવા પ્રીમિયમ પેટ્રોલની સરખામણીએ E-30 વધુ સસ્તું પડશે, જેથી તેની માંગ વધશે. ત્રીજું, ઈથેનોલ શેરડી અને અન્ય કૃષિ પાકોમાંથી બને છે. તેથી ખેડૂતોને પોતાના પાકના સારા ભાવ મળશે અને આવક વધશે.
હાલમાં વધુ ઈથેનોલવાળું પેટ્રોલ બધા વાહનોમાં વાપરી શકાતું નથી. પણ એક્સાઈઝ ડ્યુટી હટાવવાથી વાહન નિર્માતા કંપનીઓને ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન બનાવવા પ્રોત્સાહન મળશે. તાજેતરમાં E-85 પેટ્રોલ પણ લોન્ચ થયું છે જે માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ ચાલે છે. ભવિષ્યમાં આવી ટેક્નોલોજીનો વ્યાપ વધતાં વધુ ઈથેનોલવાળા ઈંધણનો ઉપયોગ વધશે.
નિષ્ણાતો માને છે કે આ નિર્ણયની તાત્કાલિક અસર મર્યાદિત હોઈ શકે, પરંતુ તેની પાછળ સરકારની લાંબા ગાળાની વ્યૂહરચના છે. આ પગલાથી દેશની બાયોફ્યુઅલ નીતિને મજબૂતી મળશે, પર્યાવરણને ફાયદો થશે અને ઊર્જા સુરક્ષા, ખેડૂતોની આવક તથા ગ્રાહકોને રાહત એમ ત્રણેય મોરચે સકારાત્મક પરિણામ મળશે.
