હજારો કિલોમીટર દૂર દરિયાનું વધતું જતું તાપમાન ભારતમાં સર્જશે આર્થિક તબાહી
રોજિંદા જીવન અને કૃષિ ક્ષેત્રથી લઈને વીજ ઉત્પાદન સુધી વિપરીત અસરનો ખતરો, વૈજ્ઞાનિકો ચિંતિત
પ્રશાંત મહાસાગરમાં ભારતથી હજારો કિલોમીટર દૂર દરિયાના પાણીનું સતત વધી રહેલું તાપમાન આગામી મહિનાઓમાં દેશના કરોડો લોકોના જીવનને સીધી અસર કરી શકે છે. વૈજ્ઞાનિકો અલ નીનો તરીકે ઓળખાતી આ આબોહવાકીય ઘટનાના વિકાસ પર સતત નજર રાખી રહ્યા છે. વિશ્વભરની વિવિધ સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો અલ નીનો વધુ મજબૂત બનશે તો તેની અસર માત્ર હવામાન પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ કૃષિ, જળસંચય, ઊર્જા ઉત્પાદન, પરિવહન અને ખાદ્ય સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં એકસાથે જોવા મળી શકે છે.
નિષ્ણાતોનું માનવું છે કે અલ નીનો હજુ વિકાસના તબક્કામાં છે, પરંતુ જો તે આગામી મહિનાઓમાં વધુ મજબૂત બનશે તો તેની અસર ભારતના ખેતરો, શહેરોની વીજ વ્યવસ્થા, પાણીના સ્ત્રોતો અને ઘરગથ્થુ ખર્ચ સુધી વ્યાપક રીતે અનુભવાઈ શકે છે. આ જ કારણ છે કે વિશ્વભરના હવામાન વૈજ્ઞાનિકો આ ઘટનાને વર્ષના સૌથી મહત્વપૂર્ણ ક્લાઈમેટ ડેવલપમેન્ટ્સમાંની એક ગણાવી રહ્યા છે.
અલ નીનોની અસર વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન પર પણ જોવા મળી શકે છે. ભૂતકાળમાં આ ઘટનાના કારણે મધ્ય અમેરિકાના કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના પરિણામે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વના પનામા કેનાલના જળસ્તરમાં ઘટાડો નોંધાયો હતો. આવી પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય માલ પરિવહનને અસર કરી શકે છે અને તેની આડઅસર વિશ્વભરના બજારોમાં જોવા મળી શકે છે.
આ પણ વાંચો: પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
ખેતી અને ખેડૂતો પ્રભાવિત થતાં સામાન્ય માણસનું બજેટ ખોરવાશે
ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ ગણાય છે. દેશની લગભગ અડધી ખેતી હજુ પણ વરસાદ પર નિર્ભર છે. ચોખા, કઠોળ, મકાઈ, સોયાબીન અને કપાસ જેવા પાકો માટે સમયસર અને પૂરતો વરસાદ અત્યંત જરૂરી હોય છે. અલ નીનોના કારણે ચોમાસું નબળું પડે અથવા લાંબા સમય સુધી વરસાદી વિરામ સર્જાય તો ખેડૂતોને વાવણી મોડેથી કરવી પડી શકે છે. કેટલીક જગ્યાએ ઓછા પાણીમાં થનારા પાકો તરફ વળવું પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
વરસાદમાં ઘટાડા સાથે તાપમાનમાં વધારો પાકોના વિકાસને અસર પહોંચાડી શકે છે, જેના કારણે ઉત્પાદન ઘટવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૃષિ ઉત્પાદન ઘટે તો તેની સીધી અસર ખાદ્ય પદાર્થોના પુરવઠા અને ભાવો પર પડશે. ખાસ કરીને કઠોળ, અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે, જે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર વધારાનો બોજ લાવી શકે છે.
પાણીની તંગીનો ખતરો, વીજ ઉત્પાદન ઉપર માઠી અસર
નબળા ચોમાસાની અસર માત્ર ખેતી પૂરતી મર્યાદિત રહેતી નથી. ઓછા વરસાદના કારણે જળાશયો, ડેમ અને નદીઓમાં પાણીની આવક ઘટી શકે છે. પરિણામે પીવાના પાણીની ઉપલબ્ધતા પર અસર થવાની સાથે જ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સના વીજ ઉત્પાદન પર પણ માઠી અસર પડી શકે છે. દેશના અનેક શહેરો પહેલેથી જ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવી સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બીજી તરફ, સામાન્ય કરતાં વધુ ગરમી પડવાના કારણે પંખા, એર કન્ડિશનર અને રેફ્રિજરેશન ઉપકરણોનો ઉપયોગ વધે છે, જેના કારણે વીજળીની માંગમાં ભારે વધારો થાય છે. ભારતમાં વીજળીની માંગ દર વર્ષે નવા રેકોર્ડ બનાવી રહી છે. નિષ્ણાતોના મતે જો વરસાદ ઓછો રહે અને ગરમી વધુ પડે તો વીજ ગ્રીડ અને ઇંધણ પુરવઠા પર વધારાનું દબાણ સર્જાઈ શકે છે.
કયા ક્ષેત્રોમાં પડી શકે છે અસર?
● ચોમાસામાં વરસાદ ઓછો અથવા અનિયમિત થવાની શક્યતા
● ચોખા, કપાસ, કઠોળ, મકાઈ અને સોયાબીનના ઉત્પાદન પર અસર
● ખેડૂતોને વાવણી મોડેથી કરવી પડે તેવી સ્થિતિ
● ડેમ, જળાશયો અને નદીઓમાં પાણીનો જથ્થો ઘટી શકે
● પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બનવાની આશંકા
● હાઇડ્રો પાવર ઉત્પાદન પર નકારાત્મક અસર
● ગરમી વધતાં એર કન્ડિશનર અને કૂલિંગ ઉપકરણોના ઉપયોગમાં વધારો
● વીજળીની માંગ અને ગ્રીડ પર વધારાનું દબાણ
● અનાજ અને કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો
● વૈશ્વિક વેપાર અને સપ્લાય ચેઇન પર અસર થવાની સંભાવના
