પ્લેનની જેમ ટ્રેનમાં વધારે લગેજ પર હવે લાગશે લગામ
ફ્લાઈટની જેમ હવે ટ્રેનમાં પણ સામાનનું વજન તોલાશે. રેલવેએ મુસાફરો માટે સામાનની લિમિટ નક્કી કરી દીધી છે. લિમિટથી વધારે સામાન લઈ જશો તો ટિકિટ કરતાં દોઢ ગણો દંડ ભરવો પડશે. મુસાફરી આરામદાયક બનાવવા અને કોચમાં ધક્કામુક્કી ઘટાડવા રેલવેએ આ કડક નિયમ લાગુ કર્યો છે.
રેલવે મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો છે. હવે હવાઈ મુસાફરીની જેમ ટ્રેનમાં પણ સામાન લઈ જવાની ચોક્કસ મર્યાદા નક્કી થઈ ગઈ છે. સ્લીપરથી લઈને એસી ફર્સ્ટ સુધી દરેક કોચ માટે અલગ વજનની લિમિટ બાંધી દેવાઈ છે. જો તમારો સામાન એ લિમિટથી વધશે તો ખિસ્સું હળવું કરવું પડશે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાનું સંતુલન ડગમગ્યું : અફઘાન સામેની સિરીઝ પહેલા મોટો ઝટકો!”
કયા કોચમાં કેટલો સામાન ફ્રી?
રેલવેના નવા નિયમ મુજબ કોચની કેટેગરી પ્રમાણે ફ્રી લગેજની મર્યાદા આ મુજબ છે:
– એસી ફર્સ્ટ ક્લાસ: 70 કિલો
– એસી સેકન્ડ ક્લાસ: 50 કિલો
– એસી થર્ડ ક્લાસ: 40 કિલો
– સ્લીપર કોચ: 40 કિલો
– સેકન્ડ ક્લાસ/જનરલ: 35 કિલો
વધારે સામાન હશે તો શું?
જો તમારો સામાન નક્કી કરેલી લિમિટથી વધારે હશે તો બે વિકલ્પ છે. પહેલો, એક્સ્ટ્રા સામાન માટે ટિકિટના ભાવથી દોઢ ગણો ચાર્જ ચૂકવવો પડશે. બીજો, જો સામાન ખૂબ વધારે હોય તો અલગથી કોચ અથવા લગેજ વાન બુક કરાવવી પડશે. લગેજ વાન બુક કરાવવાથી ખર્ચ વધશે, પણ સામાન સુરક્ષિત રીતે પહોંચી જશે.
નિયમ કેમ લાવ્યા?
રેલવેનું કહેવું છે કે કોચમાં બિનજરૂરી ભીડ ઓછી કરવા, મુસાફરોને આરામદાયક સફર આપવા અને સુરક્ષા જાળવવા આ નિયમ જરૂરી હતો. વધારે સામાનના કારણે કોચમાં ચાલવાની જગ્યા રહેતી નથી, ઇમરજન્સીમાં તકલીફ પડે છે અને બીજા મુસાફરોને પણ હેરાનગતિ થાય છે.
નિયમ તોડશો તો કાર્યવાહી
જો કોઈ મુસાફર નિયમનું પાલન નહીં કરે અને ચેકિંગ દરમિયાન વધારે સામાન પકડાશે તો દંડની સાથે કાર્યવાહી પણ થઈ શકે છે. રેલવે સ્ટાફ સ્ટેશન અને ટ્રેનમાં ચેકિંગ વધારશે.
ટૂંકમાં, હવે ટ્રેનમાં ઘરનો અડધો સામાન લઈને નીકળવાની આદત બદલવી પડશે. મુસાફરી પહેલા બેગનું વજન ચેક કરી લેજો, નહીંતર સ્ટેશને દંડ ભરીને પસ્તાવાનો વારો આવશે.
