કોકરોચ: અત્યારે તો પ્રજા માટે માત્ર મનોરંજન
એક વ્યંગાત્મક, ડિજિટલ, યુવા-આધારિત વિરોધ આંદોલન જે હવે દેશભરમાં ચર્ચાનો વિષય છે
લગભગ ત્રણ અઠવાડિયા પહેલાં એટલે કે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા પછી મૂળ ભારતીય અને હાલમાં બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અભિજિત દીપકેએ X ઉપર લખ્યુ કે, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિને એમ લાગતુ હોય કે આપણે બધા કોકરોચ જેવા છીએ તો પછી આપણે બધા એક થઈને એક પાર્ટી બનાવીએ અને તેનું નામ કોકરોચ જનતા પાર્ટી રાખીએ. .!!! બસ, વાત એટલી જ હતી પણ તેની આ પોસ્ટ પ્રકાશની ગતિએ દેશ અને દુનિયામાં ફરી વળી અને આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીએ ચોંકી જઈને આવા કોકરોચને જવાબ આપવો પડ્યો છે.
કોકરોચ જનતા પાર્ટી નામનુ એક સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કરવામાં આવ્યું, અને ફોલોઅર્સની સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે.આ લોકો પાછળ કેજરીવાલ એન્ડ પાર્ટી હોવાની ચર્ચા પણ થઇ રહી છે
આ ચૂંટણી પંચમાં નોંધાયેલો પક્ષ નથી. તે ન તો કોઈ સંગઠિત રાજકીય પક્ષ છે કે ન તો ચૂંટણી લડનારી સંસ્થા છે. તે એક સંપૂર્ણ ડિજિટલ વ્યંગાત્મક ચળવળ છે જે વ્યંગ, મીમ્સ, ગીતો અને રમૂજ દ્વારા યુવાનોના ગુસ્સાને વ્યક્ત કરે છે.
આ કોકરોચનો જન્મ મુખ્ય ન્યાયમૂર્તિની એક ટીપ્પણી પછી થયો હતો. એક અરજીની સુનાવણી કરતી વખતે મુખ્ય ન્યાયમૂર્તિ એવું બોલ્યા હતા કે `દેશમાં કેટલાક એવા યુવાનો છે જેમને કોઈ રોજગાર મળતો નથી અને વ્યવસાયમાં તેમનું કોઈ સ્થાન નથી. તેઓ કોકરોચ જેવા છે. તેમાંથી કેટલાક મીડિયા બની જાય છે, કેટલાક સોશિયલ મીડિયા, RTI કાર્યકર્તા અને અન્ય કાર્યકર્તા બની જાય છે, અને તેઓ બધા પર હુમલો કરવાનું શરૂ કરે છે.’ આ નિવેદન પછી કેટલાક યુવાનોને એમ થયું કે, અમારી વેદનાને પરોપજીવી કહીને નકારી કાઢવામાં આવી છે. વાસ્તવમાં અત્યારે દેશમાં લાખ્ખો સ્નાતકો બેકાર છે. નોકરીમાં સ્પર્ધા વધુ અને તક ઓછી છે પણ અમારી વેદના સાંભળવાવાળુ કોઈ નથી.
આ પણ વાંચો: જ્યારે AI પોતે AI બનાવવાનું શરૂ કરશે ત્યારે શું થશે?
જેમને નોકરી નથી મળતી તેઓ `સિસ્ટમ પર હુમલો` કરવા માટે સોશિયલ મીડિયા, RTI કાર્યકરો અથવા મીડિયા તરફ વળે છે – આ મુખ્ય ન્યાયમૂર્તિનું નિવેદન હતું. તેમણે પાછળથી સ્પષ્ટતા કરી કે તેઓ નકલી ડિગ્રી ધરાવતા લોકોનો ઉલ્લેખ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. સોશિયલ મીડિયા પર તોફાન ફાટી નીકળ્યું. અને આ તોફાનમાંથી કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો – એક વ્યંગાત્મક, ડિજિટલ, યુવા-આધારિત વિરોધ આંદોલન જે હવે દેશભરમાં ચર્ચાનો વિષય છે.
આ આંદોલનને નેપાળના ઝેન-ઝીના આંદોલન સાથે સરખાવવામાં આવી રહ્યું છે. કોઈ કહે છે કે પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા જો આવું કાંઇક થયુ હોત તો પરિણામ જુદુ જ હોત..વગેરે વગેરે..જો કે રાજકારણમાં જો અને તો ને સ્થાન હોતુ નથી. જે પરિણામ આવે તે જ અંતિમ અધ્યાય હોય છે એટલે તેની ચર્ચા અસ્થાને છે આમ છતાં કોકરોચ જનતા પાર્ટી હાલમાં ડિજિટલ છે, પરંતુ તેનો પ્રભાવ ઑફલાઇન પણ અનુભવાવા લાગ્યો છે. કેટલીક જગ્યાએ યુવા સભાઓ યોજાઈ રહી છે, પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે, અને ચર્ચાઓ ચાલી રહી છે.
આ ચળવળ ભારતમાં યુવા રાજકારણના નવા યુગની શરૂઆત કરી શકે છે – જ્યાં વ્યંગ એક શસ્ત્ર બની જાય છે, મીમ્સ સંદેશા બની જાય છે, અને રમૂજ ક્રાંતિ લાવે છે.કોકરોચ જનતા પાર્ટી એ ભારતની યુવા પેઢીની વાર્તા છે જે સપના જુએ છે, સખત મહેનત કરે છે, પરંતુ વારંવાર તૂટેલા સપના અને ઉપેક્ષા સાથે સંઘર્ષ કરે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીથી સળગેલી આગ હવે લાખો યુવાનો તેમના હાસ્ય અને હિમતથી સળગાવી રહ્યા છે.
આ ચળવળ દર્શાવે છે કે જ્યારે સંસ્થાઓ યુવાનોના દુ:ખને સમજવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ પોતાની ભાષા બનાવે છે – ભલે તે કટાક્ષ હોય.યુવાનો કહે છે કે આપણે કોકરોચ છીએ.જો આપણે અસ્તિત્વમાં રહીશું, તો આપણે પરિવર્તન લાવીશું. કોકરોચ જનતા પાર્ટીને જન્મ આપનાર અભિજિત દીપકે હાલમાં ભારતમાં છે અને શનિવારે દિલ્હીના જંતરમંતર ઉપર ધરણા કરીને શિક્ષણ મંત્રી અને વડાપ્રધાનનું રાજીનામુ માગ્યુ હતુ.
અહી પ્રશ્ન એ થાય છે કે આ પ્રકારના આંદોલનનું ભવિષ્ય કેટલુ હોય…લેખક અને વક્તા અશ્વિન જીવાણી લખે છે કે, આજે મોબાઈલ ખોલો એટલે ધ્રુવ રાઠી, અર્પિત શર્મા કે અભિજીત દિપકે જેવા લોકોના વિડીયો સામે આવી જાય. એવું લાગે કે જાણે આ લોકોને જ ભારતની સૌથી વધારે ચિતા છે! પણ મિત્રો, જરા આંખો ખોલો અને આ લોકો ની રમત સમજો. આ ધ્રુવ જર્મનીમાં, અર્પિત ઓસ્ટે્રલિયામાં અને અભિજીત અમેરિકામાં બેસીને જલસાની જિદગી જીવે છે. આ લોકોને ભારતની કોઈ ચિતા નથી, એમને ચિતા છે માત્ર પોતાના વ્યુઝ અને ડોલરની!
આ લોકો માટે સોશિયલ મીડિયા કોઈ ક્રાંતિ નથી, એક ધંધો છે.તેઓ એવા વિડીયો બનાવશે જેનાથી લોકો ભડકે.તમે જેટલો ગુસ્સો કરશો, કમેન્ટ્સમાં ઝઘડશો અને વિડીયો શેર કરશો, એટલા જ એમના ડોલર વધશે.એમની દર મહિનાની કમાણી કરોડો રૂપિયામાં છે. આ રૂપિયા તમારા અને મારા ડેટા અને આપણા ગુસ્સામાંથી આવે છે.
આવા યુટ્યુબર્સની ચેનલ કે તેમને વ્યુ ન આપવા લાઈક ન કરવી અને બને તો જોવાજ નહિ અનેં ક્યારેક જોવાની ઈચ્છા થાય તો માત્ર ટાઈમપાસ માટે જુઓ, એમને તમારા માર્ગદર્શક કે આદર્શ, કે આઇકોન ન બનાવોતમારું ઘર તમારે જાતે ચલાવવાનું છે, તમારી લડાઈ તમારે જાતે લડવાની છે. બીજા કોઈના ડોલર છાપવાનું મશીન બનવા કરતા પોતાના કરિયર અને ભણતર પર ધ્યાન આપો.
મૂળ વાત એ છે એ આવા કોક્રોચને સામાન્ય જનતા સીરીયસલી લેતી જ નથી. આવા લોકો ચોમાસામાં ઉગી નીકળતા બિલાડીના ટોપ જેવા હોય છે. આગિયો આખા ઘરને ઝળાહળા ન કરી શકે. ઇન જનરલ ભારતની પ્રજા અત્યારે તો આ કોકરોચ પાર્ટીને મનોરંજનની દ્રષ્ટીએ જ જોઈ રહી છે. વંદાને મારવા માટે હીટ માર્કેટમાં અવેલેબલ છે જ એવા મીમ્સ AI વિડીયો પણ ઝડપથી સર્ક્યુલેટ થઇ રહ્યા છે.
સપના જોવાનો બધાને અધિકાર છે પણ જંતરમંતર ઉપર જઈને શિક્ષણ મંત્રી કે વડાપ્રધાનનું રાજીનામુ માગવુ એ આવા યુવાનો માટે સમજદારીની બાબત નથી.
વંદા વિશે જાણો….
કોકરોચ લોકોના અભિયાન પાછળ કોણ છે કે એને ફંડિગ કોણ કરે છે એ બાબત જરાક જુદી છે પણ સાચા વાંદા પણ ઓળખવા જેવી પ્રજાતિ છે.
ઘણા લોકો વાંદાને માત્ર ઘરમાં જોવા મળતા એક સામાન્ય જીવ તરીકે ઓળખે છે. પરંતુ તમે જાણો છો કે આ નાનું જીવ કુદરતના સૌથી મજબૂત અને અનુકૂલનક્ષમ પ્રાણીઓમાંનું એક છે? વાંદાની કેટલીક એવી અદભૂત ક્ષમતાઓ છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો!
વાંદા: નાના જીવ, પણ કુદરતના સૌથી મોટા સર્વાઇવર!
વાંદાના પૂર્વજો લગભગ ૩૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર હતા- એટલે કે ડાયનાસોર કરતાં પણ પહેલાં !
વાંદો માથું કપાઈ જાય પછી પણ લગભગ એક અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે, કારણ કે તે મોઢાથી નહીં પરંતુ શરીરના નાના છિદ્રો દ્વારા શ્વાસ લે છે.
તેમની ઝડપ પણ અદભૂત છે – કેટલીક જાતિઓ પ્રતિ સેક્નડ ૧.૫ મીટર સુધી દોડી શકે છે!
શરીરની રચના એટલી લવચીક છે કે વાંદા નાની તિરાડોમાંથી પણ સરળતાથી પસાર થઈ શકે છે.
વાંદા ખૂબ જ સફાઈપ્રેમી હોય છે અને પોતાની એન્ટેના તથા પગ સતત સાફ કરતા રહે છે.
તેઓ ફેરોમોન નામના રાસાયણિક સંકેતો દ્વારા અન્ય વાંદાઓ સાથે વાતચીત કરે છે.
કેટલીક જાતિઓ UV પ્રકાશમાં ઝાંખી ચમકતી પણ જોવા મળે છે.
વાંદાઓ માનવ કરતાં વધારે રેડિએશન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
દુનિયમાં આજે ૪,૦૦૦થી વધુ જાતિના વાંદા અસ્તિત્વમાં છે.
કુદરતે વાંદાને મજબૂત બાહ્ય કવચ, ઝડપી પ્રજનન ક્ષમતા, સર્વભક્ષી આહાર અને અસાધારણ જીવંત રહેવાની શક્તિ આપી છે. કદાચ આ જ કારણ છે કે કરોડો વર્ષથી તેઓ પૃથ્વી પર ટકી રહ્યા છે.
વ્યંગ પર આધારિત આંદોલન
૧ પ્રતીક: કોકરોચ – જે દર્શાવે છે કે ગમે તેટલું દબાણ કરવામાં આવે, આપણે ટકી રહીશું.
૨ રંગ: પ્લમ ચીઝ – રમુજી અને યાદગાર.
૩ મેનિફેસ્ટો: `અમે આળસુ અને બેરોજગારોનો અવાજ છીએ.` માંગણીઓમાં નોકરીઓ, શિક્ષણ સુધારણા, પેપર લીક બંધ કરવું, RTI ને મજબૂત બનાવવું વગેરેનો સમાવેશ થાય છે.
૪ ગીતો અને મીમ્સ: યુવા સર્જકોએ ગીતો અને વાયરલ મીમ્સ બનાવ્યા જે રાજકારણીઓ, મીડિયા અને ન્યાયતંત્ર પર વ્યંગ કરે છે.
૫ ડિજિટલ વિરોધ: ,WeAreCockroaches, ,CJP, અને ×CockroachRevolutionજેવા હેશટેગ્સ ટે્રન્ડ કરી રહ્યા છે.
