લક્ષદ્વીપમાં ૪૭ વર્ષ જૂની દારૂબંધીનો અંત: ટુરિઝમને વેગ આપવા લેવાયો ઐતિહાસિક નિર્ણય
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના સામાજિક અને આર્થિક માળખાને બદલી નાખે તેવો એક મોટો વહીવટી નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૭ વર્ષથી અમલમાં રહેલા ‘લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, ૧૯૭૯’ ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. ૯૭% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે નવી લિબરલ પોલિસી હેઠળ, પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂના વેચાણને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ગત ૫ જૂનના રોજ જારી કરાયેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો કાયદો અમલી બનાવવામાં આવ્યો છે.
નવો કાયદો: ‘લક્ષદ્વીપ એક્સાઇઝ રેગ્યુલેશન, ૨૦૨૬’
જૂની સંપૂર્ણ દારૂબંધીના સ્થાને હવે ‘લક્ષદ્વીપ આબકારી નિયમન, ૨૦૨૬’ લાગુ કરાયો છે. આ નવો કાયદો દારૂના ઉત્પાદન, આયાત-નિકાસ, પરિવહન, વેચાણ અને વપરાશને નિયંત્રિત કરવા માટે એક અત્યંત કડક લાઇસન્સિંગ ફ્રેમવર્ક પૂરું પાડે છે. આ નિયમ હેઠળ હવે ખાનગી ક્ષેત્ર ઉપરાંત સરકારી માલિકીની કોર્પોરેશનો અને એજન્સીઓ પણ આલ્કોહોલિક પીણાના રિટેલ વેચાણ માટે સત્તાવાર લાઇસન્સ મેળવી શકશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં કાર, બાઈક અને ST બસ વચ્ચે ત્રિપલ અકસ્માત, એક જ પરિવારના ૫ ગુજરાતીઓના મોત
મોંઘી બનશે મિજબાની: લાદવામાં આવ્યો ભારે ટેક્સ
સ્થાનિક સામાજિક-ધાર્મિક સંવેદનશીલતા અને વપરાશને મર્યાદિત રાખવાના હેતુથી પ્રશાસને દારૂ પર એક્સાઇઝ ટેક્સનું પ્રમાણ દેશમાં સૌથી ઊંચા સ્તરે રાખ્યું છે. ભારતના અન્ય શહેરોમાં જ્યાં ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL), બીયર અને વાઇન પર સામાન્ય રીતે માત્ર ૨૫% વેટ (VAT) વસૂલવામાં આવે છે, તેની સરખામણીએ લક્ષદ્વીપમાં ટેક્સનું માળખું નીચે મુજબ રહેશે:
| દારૂનો પ્રકાર | એક્સાઇઝ ડ્યુટી (ટેક્સ) |
| ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL) અને વિદેશી દારૂ | 400% |
| બિયર | 200% |
| વાઇન | 80% |
૨૧ વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેચાણ પર પ્રતિબંધ, પ્રશાસન પાસે રહેશે સર્વોચ્ચ સત્તા
નવા કાયદામાં સ્થાનિક શાંતિ અને સુરક્ષા જાળવી રાખવા માટે કેટલીક આકરી જોગવાઈઓ પણ કરવામાં આવી છે:
ઉંમરની મર્યાદા: ૨૧ વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ વ્યક્તિને દારૂનું વેચાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
એડમિનિસ્ટ્રેટરની સત્તા: લક્ષદ્વીપના સત્તાવાર એડમિનિસ્ટ્રેટર પાસે દારૂના વપરાશ પર નિયંત્રણ રાખવા, ખરીદીની ક્વોટા મર્યાદા નક્કી કરવા અને જો ભવિષ્યમાં જરૂર જણાય તો દ્વીપસમૂહના કોઈપણ ભાગમાં ફરીથી સંપૂર્ણ દારૂબંધી લાદવાની સર્વોચ્ચ સત્તા અનામત રાખવામાં આવી છે.
લક્ષદ્વીપમાં અત્યાર સુધી કેમ હતી દારૂબંધી?
વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરીના સત્તાવાર આંકડા મુજબ, લક્ષદ્વીપની કુલ ૬૪,૪૭૩ ની વસ્તીમાંથી ૬૧,૧૨૦ નાગરિકો અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં આવે છે, જેમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ ૯૭% જેટલું છે. ઇસ્લામ ધર્મમાં દારૂના સેવન પર પ્રતિબંધ હોવાથી, સ્થાનિક ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓને માન આપીને વર્ષ ૧૯૭૯માં અહીં કાયદાકીય દારૂબંધી લાદવામાં આવી હતી. ગુજરાત અને બિહારની જેમ લક્ષદ્વીપ પણ ‘ડ્રાય સ્ટેટ/UT’ ની યાદીમાં સામેલ હતું. જોકે, વિદેશી પ્રવાસીઓ માટે કવરત્તી અને બાંગારામ ટાપુઓ પર આવેલા સરકારી રિસોર્ટ્સમાં મર્યાદિત માત્રામાં છૂટછાટ પહેલેથી જ ઉપલબ્ધ હતી.
માલદીવ્સને ટક્કર આપી વૈશ્વિક ટુરિઝમ હબ બનાવવાનો લક્ષ્ય
કેન્દ્ર સરકારના આ મોટા આર્થિક સુધારા પાછળનો મુખ્ય હેતુ લક્ષદ્વીપને માલદીવ્સની સમકક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રવાસન સ્થળ (Global Tourism Hub) બનાવવાનો છે. પ્રશાસનનું એનાલિસિસ હતું કે કડક દારૂબંધીના કારણે લક્ષદ્વીપ વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષવામાં પાછળ રહી જતું હતું. પાડોશી દેશ માલદીવ્સ પણ મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં, ત્યાંના આઇલેન્ડ રિસોર્ટ્સમાં વિદેશીઓ માટે પ્રવાહી ઉપલબ્ધ કરાવાય છે.
જાન્યુઆરી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લઈ સ્નોર્કલિંગના ફોટોગ્રાફ્સ શેર કર્યા બાદ આ પ્રદેશ વૈશ્વિક નકશા પર ચમક્યો હતો. વર્ષ ૨૦૨૦માં પ્રફુલ્લ ખોડા પટેલની એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક થયા બાદ આ પ્રક્રિયા ઝડપી બની હતી. જોકે, સ્થાનિક પક્ષો અને સંગઠનો દ્વારા આ નિર્ણયનો વિરોધ પણ થઈ રહ્યો છે, જેમનું માનવું છે કે આનાથી સ્થાનિક યુવાધન આદત તરફ વળશે. પરંતુ ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરૂપે પ્રશાસને ફેબ્રુઆરી ૨૦૨૬માં ચેતલાટ અને બિત્રા ટાપુઓ પર સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યા બાદ હવે આ નવો આબકારી કાયદો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.
ભૌગોલિક સ્થિતિ: લક્ષદ્વીપના કુલ ૩૬ ટાપુઓમાંથી માત્ર ૧૦ ટાપુઓ (અગાત્તી, અમીની, એન્ડ્રોટ, બિત્રા, ચેટલાટ, કદમત, કલ્પની, કવરત્તી, કિલ્ટન અને મિનિકોય) પર જ માનવ વસવાટ છે, જ્યાં જવા માટે ભારતીય નાગરિકોએ પણ વિશેષ પરમિટ લેવી પડે છે.
