રસ્તે પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગ ફી વસૂલવા વિચારણા
વાહન ખાનગી હોય તો પાર્કિંગ પણ ખાનગી જગ્યામાં જ થવું જોઇએ
પાર્ક કરેલા વાહનો ૩૦% રોડ સ્પેસ રોકે છે અને પાર્કિંગ પેરેલિસિસ થાય છે
પ્રથમ પ્રયોગ અમદાવાદમાં અને ત્યારબાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં થશે
રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે અને તેને કારણે શહેર હોય કે હાઈ-વે બધી જગ્યાએ ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો માથાના દુખાવારૂપ બની જાય છે. અમદાવાદમાં તાજેતરમાં થયેલા સર્વેમાંથી એવું તારણ નીકળ્યુ છે કે, દિવસ હોય કે રાત્રી જે વાહનો પાર્ક કરેલા હોય છે તે વાહનો રસ્તાનો ૩૦ ટકા ભાગ રોકી લ્યે છે.આવી સ્થિતિમાં આવા વાહનો પાસથી પણ પાર્કિંગ ફી વસુલવાનુ વિચારણા હેઠળ છે. માત્ર અમદાવાદ જ નહી પરંતુ આવનારા સમયમાં આ જ પ્રયોગ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ અમલમાં મુકાઈ શકે છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે, કોઈપણ વ્યસ્ત દિવસે અમદાવાદનાં રસ્તાઓ પર ૨૦ લાખથી વધુ ટુ-વ્હીલર અને ૪ થી ૫ લાખ અન્ય વાહનો હોય છે. આવી સ્થિતિમાં અને આવનારા સમયની વિકાસ યોજનાઓના ભાગરૂપે ખાસ નીતિ તૈયાર કરવાની જરૂર છે. આ નીતિ હેઠળ જાહેર રસ્તા ઉપર દિવસે કે રાત્રે પાર્ક થતા અથવા પડ્યા રહેતા વાહનનો પાર્કિંગ ચાર્જ વસુલાશે.
આ પણ વાંચો: તાનિયા માણેકની `સુવર્ણ’ સિધ્ધિ
સુત્રોએ કહ્યુ હતું કે, એક વખત અમદાવાદ માટે ચાલી રહેલો સર્વે પૂરો થઇ જાય અને એક ચોક્કસ માળખુ તૈયાર થઇ જાય પછી વડોદરા, સુરત અને રાજકોટ માટે આ જ નિયમ લાગુ કરવામાં આવશે. અત્યારે જે રીતે વાહનોની સંખ્યા વધતી જાય છે તે જોતા આવનારા સમયમાં રસ્તા ઉપરના પાર્કિંગની મોટી સમસ્યા ઉભી થવાની છે.
કોમ્પ્રિહેન્સિવ મોબિલિટી પ્લાન તૈયાર કરી રહેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે જાહેર જગ્યાને ખાનગી ગેરેજ જેવી જગ્યા ગણીને પાર્કિગ કરવામાં આવે છે અને તેને લીધે “પાર્કિંગ પેરાલિસિસ” ઉદ્ભવે છે.
“વાહનો ખાનગી છે તો પાર્કિંગ પણ ખાનગી હોવું જોઈએ તેમ જણાવતા આ અધિકારીએ જણાવ્યું હતું કે વાહન માલિકોએ વાહન પોતાની જ જગ્યામાં પાર્ક થાય તેની જવાબદારી લેવી જોઈએ.
રાજકોટવાસીઓને થશે મૂંઝવણ
એક તરફ રાજ્ય સરકાર ચાર મોટા શહેરોમાં રોડ ઉપર દિવસ-રાત પાર્ક થતા અને પડ્યા રહેતા વાહનો પાસેથી પાર્કિંગચાર્જ વસુલવા માટે તૈયારી કરી રહી છે ત્યારે બીજી બાજુ રાજકોટમાં મેયર નેહલ શુક્લ પેઈડ પાર્કિગની સીસ્ટમ કાઢી નાખવા માગે છે. મેયરે આ પહેલા અને તાજેતરમાં પણ આ નિર્દેશ આપ્યો હતો કે લોકોને પાર્કિંગ માટે જગ્યા આપવાની જવાબદારી મહાપાલિકાની છે. આવા પાર્કિંગનો ચાર્જ વસૂલવો વ્યાજબી નથી. સરકારની વિચારણા અને મેયરનું થિંકિંગ અલગ અલગ છે ત્યારે રાજકોટવાસીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.
