છરીના ઘા ઝીંકી જીવ લીધો, પુરાવાનો નાશ કરવા ડીઝલ નાખી મૃતદેહ સળગાવ્યો
એક આરોપી ડીઝલ ખરીદતો કેમેરામાં થયો કેદ, પોલીસે ત્રણની કરી ધરપકડ
શહેરના છેવાડે આવેલા વણઝર ગામ પાસે સાબરમતી નદીના અવાવરૂ પટમાંથી મંગળવારે એક અજાણ્યા પુરુષની અડધી સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સરખેજ પોલીસની પેટ્રોલીંગ ટીમ જ્યારે આ વિસ્તારમાં તપાસમાં હતી, ત્યારે તેમને નદીના પટમાં કંઈક સળગતું હોવાનું જણાયું હતું. નજીક જઈને તપાસ કરતા તે એક અડધી સળગેલી લાશ હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો જણાતા સરખેજ પોલીસ અને એલ.સી.બી. ઝોન-૭ની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃતકને છાતીના ભાગે ઘાતક હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે લાશ પર ડીઝલ છાંટીને તેને સળગાવી દેવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરતા જાણવા મળ્યું કે એક વ્યક્તિ ડીઝલની ખરીદી કરી રહ્યો હતો, જેની ઓળખ દીપક ઉર્ફે ભગી રાવળ તરીકે થઈ હતી. તેની કડક પૂછપરછ દરમિયાન સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ ચુનારા, જગદીશ ઉર્ફે કપિલ ઠાકોર અને દીપક ઉર્ફે ભગી રાવળની ધરપકડ કરી છે.
તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતકનું નામ જાવેદ ઉર્ફે મરઘી સિપાઇ હતું. મુખ્ય આરોપી જીતેન્દ્રને શંકા હતી કે જાવેદ પોલીસને બાતમી આપે છે. જેના કારણે તે અગાઉ દારૂના ગુનામાં પકડાયો હતો. આ અદાવત રાખીને આરોપીઓએ જાવેદને રિક્ષામાં બેસાડી વણઝર નદીના પટમાં લઈ જઈ તેની હત્યા કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલી રિક્ષા પણ કબજે કરી છે.
