રાજકોટમાં યોજાનારા બાગેશ્વર બાબાના નામે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર સામે ઉઠ્યો વિરોધ !!
એ.આઇ.ના યુગમાં ચિઠ્ઠી કાઢવી, ઇલાજ કરવા એ બધું ભ્રામક જેવું ગણાવતા સહકારી અગ્રણી પુરૂષોત્તમ પીપરિયા
રાજકોટ શહેરમાં આગામી માસે તા.૫થી ત્રણ દિવસ માટે યોજાનારા બાબા બાગેશ્વરના નામે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે દરબાર યોજાય એ પૂર્વે જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. કાયદે આઝમના ઉપનામથી ઓળખાતા સહકારી ક્ષેત્રના અગ્રણી સમાજ સેવક પુરૂષોત્તમ પીપરિયા દ્વારા પણ કેટલાક મુદ્દાઓ સાથે પોતાનો વિરોધ કે મત વ્યક્ત કર્યો છે કે આ એ.આઈ.ના યુગમાં ચિઠ્ઠી કાઢવી કે ઈલાજ કરવા એ બધું ભ્રામક જેવું માની શકાય.
વિજ્ઞાન જાથા દ્વારા વિરોધ ઉઠાવાયો છે. હવે પીપરિયાએ પણ સવાલો ઉઠાવ્યા છે. જે ૨૧મી સદીના યુગમાં કેટલાક અંશે વ્યાજબી રૂપ પણ બની રહે. વર્તમાન સમયમાં જ્યારે ડીઝલ, પેટ્રોલની પણ મુશ્કેલી છે ત્યારે આવા સામૂહિક આયોજન કરીને એક સ્થળે રોજિંદા મેળાવડો ભેગો કરવાથી ઇંધણનો પણ વપરાશ વધશેનો પણ સૂર ઉઠ્યો છે.
પીપરિયાના મત મુજબ ૨૧મી સદીના આધુનિક અને તકનીકી રીતે વિકસિત યુગમાં, જ્યાં વિજ્ઞાન, તબીબી સંશોધનો અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) માનવ જીવનના દરેક પાસાને સ્પર્શી રહ્યા છે, ત્યાં ભારતીય સમાજમાં હજુ પણ અંધશ્રદ્ધા, ચમત્કારો અને કથિત દિવ્ય શક્તિઓ પ્રત્યેનું આકર્ષણ અકબંધ છે. એક તરફ ભારત અવકાશ સંશોધનમાં સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે, તો બીજી તરફ આસારામ બાપુ, રામ રહીમ અને નિત્યાનંદ જેવા અનેક સ્વયંભૂ બાબાઓનો પર્દાફાશ થયા પછી પણ સમાજનો એક મોટો વર્ગ નવા ચમત્કારી બાબાઓ'ની શોધમાં રહે છે. ધીરેન્દ્ર શાસ્ત્રીની રાષ્ટ્રીય ઓળખનો મુખ્ય આધાર તેમનોદિવ્ય દરબાર’ છે, જે દર મંગળવારે અને શનિવારે બાગેશ્વર ધામમાં ભરાય છે. આ દરબારમાં તેઓ તબીબી વિજ્ઞાનને પડકાર ફેંકતા માત્ર દર્શન અને મંત્રોચ્ચારથી કેન્સર જેવી ટર્મિનલ બીમારીઓનો ઈલાજ કરવાનો દાવો કરે છે. અદ્રશ્ય શક્તિઓ કે મેલીવિદ્યાથી પીડિત લોકોને મુક્ત કરવા માટે તેઓ દરબારમાં જ એક્ઝોર્સિઝમ (ભૂત-પ્રેત બાધા મુક્તિ)ની પ્રક્રિયાઓ હાથ ધરે છે. ત્રિકાળ જ્ઞાન અને માઇન્ડ રીડિગ અંતર્ગત વ્યક્તિ કંઈપણ બોલે તે પહેલાં જ તેનું નામ, સમસ્યા, પરિવારની વિગતો અને તેના ભવિષ્યના ઉકેલો એક ચિઠ્ઠી (પર્ચી) પર લખી દેવામાં આવે છે. તેઓ દાવો કરે છે કે તેઓ માત્ર એક માધ્યમ છે અને ઉકેલ ભગવાન બાલાજી પોતે તેમને પ્રેરણા દ્વારા જણાવે છે.
આ આખો દરબાર ટેલિવિઝન ચેનલો અને સોશિયલ મીડિયા પર ૨૪ કલાક લાઇવ પ્રસારિત થાય છે, જ્યાં નાટ્યાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવે છે. જ્યારે લાખો ભક્તો આ ઘટનાઓને ચમત્કાર માને છે, ત્યારે વૈજ્ઞાનિક સમુદાય, તર્કવાદીઓ અને વ્યાવસાયિક જાદુગરો આ દાવાઓને સંપૂર્ણપણે ભ્રામક અને મનોવૈજ્ઞાનિક ચાલાકીઓ (મેન્ટાલિઝમ, કોલ્ડ રીડિગ અને હોટ રીડિગ) ગણાવે છે.
ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ સ્પષ્ટપણે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી માઇન્ડ રીડિગ કળાનો દુરૂપયોગ કરીને ષડયંત્ર ચલાવી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ પરથી સ્પષ્ટ થાય છે કે મનોવિજ્ઞાન અને જાદુગરીની કળાનું આધુનિક પેકેજિગ કરીને તેને દિવ્ય શક્તિ' તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યારે લોકો શારીરિક બીમારી કે આર્થિક સંકટથી ઘેરાયેલા હોય છે, ત્યારે તેમની તાર્કિક વિચારશક્તિ ક્ષીણ થઈ જાય છે. જોકે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જોવા મળેલો પ્રતિકાર દર્શાવે છે કે સમાજનો એક શિક્ષિત અને વ્યવહારિક વર્ગ હજુ પણ આ ભ્રમજાળ સામે લડવા તૈયાર છે. કાયદાકીય માળખામાં રહેલી છટકબારીઓ અને રાજકીય આશ્રય આવા બાબાઓને સુરક્ષા કવચ પૂરું પાડે છે. ભારતીય બંધારણની કલમ 51A (H) દરેક નાગરિકની વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની ફરજ દર્શાવે છે. જ્યાં સુધી રાજ્ય પોતાના નાગરિકોને પૂરતી આરોગ્ય સેવાઓ, રોજગારી અને ઝડપી ન્યાય વ્યવસ્થા પૂરી નહીં પાડે, ત્યાં સુધી નિરાશ લોકો આવાદિવ્ય દરબારો’માં આશ્રય શોધતા રહેશે અને અંધશ્રદ્ધા માત્ર શિક્ષણ તથા જાગૃતિથી જ નાબૂદ થઈ શકશે તેવું ડો.પીપરિયાએ તેમના વિચારોમાં જણાવ્યું છે.
