કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર કર્મભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવાર, 27 જૂનથી શરૂ થતા બે દિવસીય પ્રવાસમાં તેઓ ગાંધીનગરથી અમદાવાદ સુધી કુલ ચાર મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપશે. સહકાર ટેક્સી સેવાના ડિજિટલ શ્રી ગણેશથી લઈને રાણીપના લોક દરબાર સુધી, ગૃહમંત્રીનો આ પ્રવાસ વિકાસ, પર્યાવરણ અને જનસંપર્કનો ત્રિવેણી સંગમ બનશે.
મહાત્મા મંદિરથી ‘સહકાર ટેક્સી સેવા’નો શુભારંભ
પ્રવાસની શરૂઆત સહકારિતા ક્ષેત્રના મોટા પ્રોજેક્ટથી થશે. શનિવારે સવારે 11:00 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી અમિત શાહ સમગ્ર ગુજરાત માટે ‘સહકાર ટેક્સી સેવા’નો વિધિવત ડિજિટલ પ્રારંભ કરાવશે. આ સેવાથી સહકારી માળખું વધુ મજબૂત બનશે અને યુવાનોને રોજગારીની નવી તકો મળશે.
આ પણ વાંચો: CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
સર્કિટ હાઉસમાં DISHAની હાઈલેવલ બેઠક
સહકાર ટેક્સી સેવા લોન્ચ કર્યા બાદ બપોરે 1:00 કલાકે ગૃહમંત્રી ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચશે. અહીં તેઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી એટલે કે DISHAની મહત્વની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અને વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા થશે.
અમદાવાદમાં પર્યાવરણનો સંદેશ: સામૂહિક વૃક્ષારોપણ
ગાંધીનગરના કાર્યક્રમો બાદ અમિત શાહ અમદાવાદ જવા રવાના થશે. સાંજે 4:45 કલાકે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આયોજિત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા તેઓ અહીં વૃક્ષારોપણ કરશે.
રાણીપમાં ‘લોક દરબાર’: જનતાના પ્રશ્નો સાંભળશે
પ્રવાસના અંતે ગૃહમંત્રી સીધા જનતાની વચ્ચે જશે. સાંજે 6:30 કલાકે અમદાવાદના રાણીપ વિસ્તારમાં ભવ્ય ‘લોક દરબાર’ યોજાશે. પોતાના મતવિસ્તારના લોકો સાથે સીધો સંવાદ કરી તેઓ સ્થાનિક પ્રશ્નો સાંભળશે અને ઉકેલ માટે અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપશે.
ગૃહમંત્રીના આ પ્રવાસને લઈને ગાંધીનગર અને અમદાવાદ પોલીસે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે.
