ગુજરાતમાં પાંચ વર્ષમાં 43.83 લાખ ગરીબ ઘટી ગયા: 5.87 લાખ રેશનકાર્ડ રદ
સૌથી વધુ આધારકાર્ડ સાથે લિંક ન હોય તેવા રેશનકાર્ડ રદ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને બીપીએલ અને અંત્યોદય કાર્ડ ઈસ્યુ કરી રાહતદરે અનાજ, કઠોળ, ખાંડ, તેલ જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે જેના માટે કેન્દ્ર સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની સબસીડી પણ ફાળવે છે ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ગરીબોની સંખ્યા ઘટી ગઈ હોય તેમ પાંચ વર્ષમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.
મંત્રાલય દ્વારા તાજેતરમાં ૨૦૨૧થી ૨૦૨૫નો ડેટા જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એકલા ગુજરાતમાંથી પાંચ વર્ષમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ જુદા જુદા કારણોસર રદ કરવામાં આવ્યા છે.
પુરવઠા નિગમ દ્વારા સહકારી યોજનાઓનો ગેરલાભ અટકાવવા માટે અને રેશનકાર્ડની પાત્રતા ચકાસવા માટે શરૂ કરેલી ઝૂંબેશમાં ૫.૮૭ લાખ રેશનકાર્ડ જુદા જુદા કારણોસર ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
જેમાં રેશનકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો ન હોય તેમજ ડુપ્લીકેટ રેશનકાર્ડ હોય તેવા આ ઉપરાંત રેશનીંગના લાભાર્થીઓનું સ્થળાંતર થયું હોય અથવા લાભાર્થીનું અવસાન થયું હોય તેમજ લાભાર્થીના આર્થિક ધોરણમાં ફેરફાર થયો હોય તેવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. સૌથી વધુ આધારકાર્ડ સાથે લિંક ન હોય તેવા રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં પાંચ વર્ષમાં સહકારી ચોપડે ગરીબો ઘટ્યા છે. રાજ્યમાંથી ૫.૮૭ લાખ રેશનકાર્ડ રદ થતાં પુરવઠા નિગમના ચોપડે ૪૩.૮૩ લાખ લાભાર્થીઓ ઘટ્યા છે જેના કારણે કેન્દ્ર સરકારની ૬૧૧ કરોડની સબસીડીમાં ઘટાડો થયો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.
