ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માત્ર અરજી રદ થવાથી વિરાણીના ટ્રસ્ટીઓને કોઇ ક્લિનચીટ મળી નથી
પક્ષકાર તરીકે જોડાવવાની અરજી રદ થવાથી હાઇસ્કૂલની જમીન પ્રાઇવેટ ઠરી જતી નથી: પરશોત્તમ પીપળિયા
રાજકોટની મધ્યમાં આવેલ શામજી વેલજી વિરાણી ટ્રસ્ટની જમીનના વિવાદમાં પૂર્વ વિદ્યાર્થી નેતાની પક્ષકાર તરીકે જોડાવવાની અરજી કલેક્ટરે ફગાવી દીધી છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વિરાણી હા,સ્કૂલના મેદાન બચાવો સમિતિ હેઠળ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી જણાવ્યું હતું કે, માત્ર ટેકનિકલ ગ્રાઉન્ડ પર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી રદ થવાથી વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને કોઈ ક્લિનચીટ મળી જતી નથી કે વિરાણી હાઈસ્કૂલની જમીન પ્રાઈવેટ ઠરી જતી નથી.
રાજકોટની પ્રખ્યાત વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા 1990માં વિરાણી હાઈસ્કૂલના મેદાનનો એક હિસ્સો વેચવા માટે ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરી મંજૂરી માગી હતી જેની સામે વિરાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી ડો.પરશોત્તમ પીપળિયા સહિતના વિદ્યાર્થીઓએ વિરાણી મેદાન બચાવો સમિતિ બનાવી ટ્રસ્ટીઓ સામે કાનૂની લડત માંડી હતી.
આ પણ વાંચો: સારા વરસાદની લાલચે ઓણ સાલ પણ ખેડૂતોએ મગફળી, કપાસ, ડાંગરનું કર્યું વાવેતર
વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી યથાવત સ્થિતિ જાલવવાનો હુકમ મેળવ્યા બાદ આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવવા અને નોંધ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારી સમક્ષ અરજી કરતા પ્રાંત અધિકારીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી ગુણદોષને ધ્યાને લીધા વગર રદ કરી હતી.
જેની સામે કલેક્ટર સમક્ષ રિવિઝન કરવામાં આવી હતી પરંતુ કલેક્ટરે પણ વિરાણી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પક્ષકાર તરકી જોડાવવાની અરજી ફગાવી દીધી હતી. આ ચકચારી કેસમાં વિરાણી મેદાન બચાવો સમિતિ દ્વારા એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી ડો.પરશોત્તમ પીપળિયાએ જણાવ્યું હતું કે, જમીનમાં સત્તા પ્રકારનો ચૂકાદો વિરાણી હાઈસ્કૂલની વિરૂધ્ધમાં આવેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, માત્ર ટેકનિકલ કારણોસર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અરજી રદ થઈ છે. જ્યારે વિરાણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓને જમીન વેંચવા બાબતે કોઈ ક્લિનચીટ મળી નથી કે વિરાણી હાઈસ્કૂલની જમીન પ્રાઈવેટ ઠરી જતી નથી.
