રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જંગમાં પ્રશાંત કોરાટની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું
જયેશ રાદડિયાનું વર્ચસ્વ તોડવા અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપના મહામંત્રી ઉતર્યા
રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની કસોકસની ચૂંટણીમાં ભાજપના જ બે બળિયા જૂથ વચ્ચે હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. એક તરફ નીતિન ઢાંકેચાને ચેરમેન બનાવવા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાને ઉતર્યા છે ત્યારે હવે અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપ મહામંત્રી અને યુવા નેતા પ્રશાંત કોરાટની રા.લો. સંઘની ચૂંટણીમાં એન્ટ્રી થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની મુદત પૂર્ણ થઈ જતાં તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે ચૂંટણી અધિકારી તરીકે આચાર્યની નિમણૂંક કર્યા બાદ મતદાર યાદી જાહેર કરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.
રાજકોટ-લોધીકા સંઘ હેઠલ ૬૧ મંડળી આવતી હોય જેમાંથી ૬ મંડળી ગેરલાયક ઠરી છે. જ્યારે ચાર મંડળી વચ્ચે એક ડાયરેક્ટરની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેનું ફોર્મ વિવતરણ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આગામી ૮ સપ્ટેમ્બરના રોજ રા.લો. સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જેવું મહત્વ ધરાવતી આ ચૂંટણીમાં આ વખતે પણ ભાજપના બે બળિયા જૂથ વચ્ચે ચેરમેન પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
આ વખતે એક તરફે નીતિન ઢાંકેચા ચેરમેન પદના દાવેદાર તરીકે મેદાન ઉતર્યા છે તો સામા પક્ષે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પર ચેરમેન પદ મેળવવા પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી છે.
આ પણ વાંચો: જેમ સ્વિગી પર પિઝાનો ભાવ ખબર પડે એમ અને Bribes FYI પર લાંચનો રેટ મળે!
નીતિન ઢાંકેચાની તરફેણમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાનમાં ઉતર્યા છે તો અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપના મહામંત્રી અને યુવા નેતા પ્રશાંત કોરાટની ચૂંટણી જંગમાં એન્ટ્રી થતાં બળતામાં ઘી હોમાયું છે.
કોરાટ પરિવારની પરંપરાગત જેતપુર બેઠક પર રાદડિયા પરિવારે પોતાનો દબદબો બનાવી લીધો છે ત્યારે હવે જયેશ રાદડિયાની સામે સવજી કોરાટ અને જશુમતીબેન કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાવો વધી ગયો છે.
સહકારી ક્ષેત્રે વર્ષોથી રાદડિયા પરિવારનો પરંપરાગત વર્ચસ્વ રહ્યું છે ત્યારે આ વર્ચસ્વને તોડવા માટે જ કોરાટ પરિવારે હવે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું હોવાનું રાજકીય સૂત્રોમાં કર્ણપકર્ણ ચર્ચાઈ રહ્યું છે.
આ વખતની રા.લો. સંઘની ચૂંટણી બે ચેરમેન વચ્ચેની નહીં પરંતુ બે પરિવાર વચ્ચેની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોણ જીતશે તે તો પરિણામ જ કહેશે.
રાદડિયા V/S કોરાટની લડાઇનું કેન્દ્રબિંદુ જેતપુરની બેઠક ?
રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની જાહેર થયેલ ચૂંટણીમાં ચેરમેન પદ માટે ભાજપના જ બે બળિયા જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે ત્યારે આ વખતની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે પૂર્વ મંત્રીના પુત્ર અને ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટની એન્ટ્રી થઈ છે ત્યારે આ વર્ચસ્વની લડાઈનું કેન્દ્રબિંદુ જેતપુરની બેઠક હોવાનું રાજકીય ગલિયારામાં ચર્ચાએ જોર પકડ્યું છે.
ગત વખતે પણ રૈયાણી અને ઢાંકેચાની લડાઇમાં જાડેજા ફાવી ગયા હતા
રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં ગત વખતે પણ ચેરમેનપદ માટે નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણી વચ્ચે જંગ જામ્યો હતો અને છેલ્લી ઘડીએ બે બળિયા જૂથની વર્ચસ્વની લડાઈમાં ચેરમેનપદે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા હતા.
