એક બાજુ વરસાદી પાણી જમીનમાં ઉતારવા ઝુંબેશ અને બીજી બાજુ ગમે ત્યાં બ્લોક પાથરીને પાણીને જમીનમાં જવાની જગ્યા જ રહેવા દેવાતી નથી
-તળના પાણી ઊંચા આવતા જ નથી અને ભવિષ્યની કોઈને ચિંતા નથી
-મનપાના વોટર મેનેજમેન્ટ યુનિટના અધિકારીઓ બ્લોક ઉપર ઉભા રહીને પાણી જમીનમાં કેમ ઉતારવુ તેની સલાહ આપે છે !
રાજકોટ: એક તરફ રાજકોટ મહાપાલિકા કેચ ધ રેઇનની ટેગલાઈન હેઠળ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે લોકજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે અને લોકોને જમીનના તળ કેમ સાજા કરવા તે સમજાવવામાં આવી રહ્યુ છે તો બીજી તરફ આ જ મહાપાલિકા પાણીને જમીનમાં ઉતારવાના જે રસ્તાઓ છે તે બ્લોક નાખીને બ્લોક કરી રહી છે. જાણકાર લોકો આ કૃત્યને સમજદારીનો અભાવ અથવા ઘોર લાપરવાહી ગણાવી રહ્યા છે. સામાન્ય રીતે ડામર અથવા RCC હોય ત્યાંથી પાણી જમીનમાં ઉતરી શકતું નથી પરંતુ રોડની સાઈડમાં અને ફૂટપાથની નીચેના ભાગેથી પાણી જમીનમાં ઉતરી શકે છે પરંતુ રાજકોટમાં ઠેકઠેકાણે બ્લોક પાથરી દેવામાં આવ્યા છે તેથી જમીનમાં જેટલી માત્રામાં પાણી ઉતરવું જોઈએ તેટલુ ઉતરતું નથી અને તળના પાણી ઊંચા આવતા જ નથી.
આ અહેવાલ સાથે કેટલીક તસવીરો પ્રસિદ્ધ કરવામાં આવી છે જે કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસેના રસ્તાની છે. અહી વરસાદી પાણીનું ખાબોચિયુ ભરાઈને રહેતું હતું એટલે વોઈસ ઓફ ડે દ્વારા આ તસવીર પ્રસિધ્ધ કરવામાં આવી હતી. અખબારમાં કોઈ અસુવિધાના સમાચાર આવે પછી જ જાગતા મહાપાલિકાના અધિકારીઓએ ટીમ મોકલીને ત્યાં પહેલા કાળી મોરમ અને પછી એના ઉપર બ્લોક પાથરી દઈને કામ કર્યાનો સંતોષ લઈ લીધો છે. પ્રજાને પણ પ્રથમ દ્રષ્ટીએ પાણીના ખાબોચિયા કે ગંદકીમાંથી મુક્તિ મળી અને લોકોને પગપાળા ચાલવામાં પણ સહુલીયત મળી પરંતુ આ જે થઇ રહ્યુ છે તે રાજકોટના ભવિષ્ય માટે ખરાબા છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
કાલાવડ રોડનું તો એક ઉદાહરણ આપ્યું પરંતુ આવુ તો આખા રાજકોટમાં થાય છે. જ્યાં કોઈ ડીમાન્ડ આવે કે તરત જ બ્લોક પાથરી દેવામાં આવે છે. આવા બ્લોક માટે જે ખર્ચ થાય તે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી જ કરવામાં આવે છે. કોર્પોરેટરો એવું કહે છે કે, બ્લોક નાખવાથી ડસ્ટ એટલે કે ધૂળ ઓછી ઉડે..ઘણા વોર્ડમાં શેરી-ગલીઓમાં બંને બાજુ બ્લોક પાથરી દેવામાં આવ્યા છે. આવા બ્લોક દેખાવમાં સારા લાગે પણ તેની વિપરીત અસર બહુ ખરાબ પડે છે તેવું માનવામાં આવે છે.
આ પણ વાંચો: નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા; રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર
રાજકોટમાં જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં અને દેશભરમાં વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે જનજાગૃતિનાં કાર્યક્રમો ચલાવવામાં આવે છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે અપીલ કરેલી છે. રાજકોટમાં પણ મહાપાલિકાનું વોટર મેનેજમેન્ટ યુનિટ આવા કેચ ધ રેઈનના રૂડા રૂપાળા નામ હેઠળ જનજાગૃતિનાં કાર્યક્રમો કરે છે. ચોંકાવનારી વાત છે કે આ યુનિટના અધિકારીઓ સિમેન્ટના બ્લોક ઉપર ઉભા રહીને લોકોને જમીનમાં પાણી કેમ ઉતરવું તેની સલાહ આપે છે.
એક જાણકારે કહ્યુ કે, જે જગ્યાએ ડામર કે આર.સી.સી. હોય ત્યાંથી જમીનમાં પાણી ઉતરતું નથી. આ માટે ખુલ્લી જગ્યા જોઈએ પરંતુ મહાપાલિકા આડેધડ સિમેન્ટના બ્લોક નાખીને પાણીનો જમીનમાં ઉતારવાનો રસ્તો જ બ્લોક કરી રહ્યું છે. બ્લોક હોવાથી જે માત્રામાં પાણી જમીનમાં ઉતરવું જોઈએ તેટલું પાણી ઉતરતું નથી.એક સાથે આખા રાજકોટમાં જમીનમાં પાણી ઉતારવાની માત્રા ઘટી ગઈ છે અને તેને લીધે પાણીના તળ ચિંતાજનક રીતે નીચા ચાલ્યા ગયા છે.
ઇઝરાયલ જેવા દેશમાં પાંચ ઇંચ વરસાદ આવે તો પણ જમીનમાં ગયેલું એ પાણી ત્રણ સીઝન સુધી ઉપયોગમાં આવી શકે છે જયારે અહી ૨૫-૨૫ ઇંચ વરસાદ પછી પણ પાણીના તળ નીચા જ રહે છે.
જો મહાપાલિકા કે સરકાર અત્યારથી આ બાબતે ગંભીર નહી થાય અને કોઈ યોગ્ય પગલાં નહી લ્યે તો આવનારી પેઢીને વધુ મુશ્કેલી સહન કરવાની આવશે એ નિશ્ચિત છે.
નાના મવા વિસ્તારમાં ૩ હજાર ફૂટે પાણી આવે છે
નાના મવા વિસ્તારમાં તો જમીનમાં બોર કરવામાં આવે તો ૨૫૦૦ થી ૩૦૦૦ ફૂટે પાણી આવે છે. આ વિસ્તારમાં પોતાના પ્રોજેક્ટ શરુ કરનાર બિલ્ડરો પણ મૂંઝવણમાં છે. આ વિસ્તારોમાં પાણીના તળ ઘણા નીચે ચાલ્યા ગયા છે. આટલે ઊંડેથી જે પાણી આવે છે તેમાં TDSનું પ્રમાણ પણ વધુ પડતુ હોય છે જે પાણીજન્ય રોગને મોટુ આમંત્રણ આપી શકે છે. વધુ પડતી ક્ષારવાળુ પાણી કીડનીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
સુચન: દરેક મંજુર ટીપી સ્કીમમાં બે તળાવ ફરજિયાત હોવા જોઈએ.
જળસંચયના નિષ્ણાત દિલીપભાઈ સખિયાએ એક સુચન કરતા કહ્યુ હતું કે, રાજકોટની વસતિ ત્રણ લાખની હતી ત્યારે આજી, ન્યારી અને લાલપરી એમ પીવાના પાણી સંગ્રહનાં ત્રણ સ્ત્રોત હતા. આજે વસતિ ૩૦ લાખે પહોંચવામાં આવી છે ત્યારે પણ સ્ત્રોત ત્રણ જ છે. અને આ ત્રણેય સ્ત્રોતમાં માટી અને કાંપ ભરાયેલો છે. હાલમાં રાજકોટની આટલી વસતિને નર્મદા યોજના ઉપર નિર્ભર રહેવું પડે છે પણ ન કરે નારાયણ અને મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ પડે તો નર્મદા ડેમમાં પાણી નહી આવે અને સૌની યોજના મારફત પાણી રાજકોટને પણ નહી મળે.
રાજકોટમાં સરકાર દ્વારા જે ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર થાય તેમાં બે તળાવ ફરજિયાત રાખવા જોઈએ. આવા તળાવનો ફાયદો એ થાય કે જમીનમાં વરસાદી પાણી ઉતરે અને જરૂર પડ્યે પીવાના પાણી માટે ઉપયોગમાં લઈ શકાય.
તેમણે એમ પણ કહ્યુ કે આજી, ન્યારી અને લાલપરીમાંથી કાંપ કાઢવામાં આવે તો હાલની કેપેસીટી કરતા ડબલ જેટલો પાણીનો સંગ્રહ થાય અને હાલમાં જે તોતિંગ નાણા ચુકવવા પડે છે તે પણ બચી જાય.
