સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ : ભાદરમાં સવા ફૂટ, આજી-3માં પોણા બે ફૂટ નવા નીરની આવક
મેઘરાજાના બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના 23 ડેમમાં નવા નીર આવ્યા
રાજકોટ : સોમવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતા જ સચરાચર મેઘમહેરથી જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે, છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ બાદ છ જળાશયોમાં નવા નીર આવ્યા છે જેમાં ભાદરમાં સવા ફૂટ, આજી-3માં પોણા બે ફૂટ તેમજ ડોંડી યોજનામાં સાડા નવ ફૂટ નવા નીરની આવક થઇ હતી. સાથે સૌરાષ્ટ્રના 23 ડેમોમાં નવા પાણીની આવક થઈ હોવાનું સિંચાઈ વિભાગે જાહેર કર્યું હતું.
છેલ્લા બે દિવસથી મેઘરાજા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઉપર હેત વરસાવી રહ્યા છે અને ખાસ કરીને ધોરાજી, ઉપલેટા, જામ કંડોરણા તેમજ લોધીકા પંથકમાં વરસતા ભાદરડેમમાં 1.25 ફૂટ નવા નીરની આવક થતાં ડેમની સપાટી 12 ફૂટે પહોંચી છે. જયારે ફોફળમાં 1.71 ફૂટ, આજી-3માં 1.44 ફૂટ, ડોંડીમાં 9.35 ફૂટ, ન્યારી-2માં 0.33 ફૂટ, તેમજ છાપરવડી-1માં 1.97 ફૂટ નવા પાણીની આવક થતા રાજકોટ જિલ્લાના ડેમોમાં સરેરાશ 27.72 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાનું સિંચાઈ વિભાગે જાહેર કર્યું છે.
બીજી તરફ મોરબી જિલ્લાના મચ્છુ-1 માં 2.23 ફૂટ, મચ્છુ-2માં 1.51 ફૂટ, ડેમી-1માં 0.46 ફૂટ અને ડેમી-2માં 2.46 ફૂટ પાણીની આવક થઈ છે. જામનગરના ફોફળ-2માં 1.51 ફૂટ, રંગમતીમાં 7.55 ફૂટ, ફુલઝરમાં 0.23 ફૂટ અને રૂપાવટીમાં 0.98 ફૂટ નવા નિરની આવક થઈ છે. ઉપરાંત દ્વારકા જિલ્લાના ધી ડેમમાં 1.64 ફૂટ, વર્તુ-1માં 1.31 ફૂટ, શેઢા ભાડશરીમાં 2.13 ફૂટ, વેરાડી-1માં 3.77 ફૂટ, કાબરકામાં 0.49ફૂટ, વેરાડી-2માં 1.31 ફૂટ અને મણીસારમાં 2.13 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો-1 માં 1.77 ફૂટ અને મોરસલમાં 0.82 ફૂટ પાણીની આવક થઈ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.